“ધનવંતરી-સંજીવની રથ, માઈક, ટીવી સ્ક્રીન, કોરોના ટેસ્ટ તેમજ ડોર ટુ ડોર સર્વે બંધ કરો નહીંતર કોર્ટ કાર્યવાહી માટે તૈયાર રહો: પોલીસ કમિશનર બાદ મ્યુ.કમિશનરને પણ લીગલ નોટિસ ફટકારાઈ”
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર દેશને છેલ્લા 10 મહિનાથી કોરોના રીતસરનો ધ્રુજાવી રહ્યો છે ત્યારે રાજકોટના કોરોના સત્યાગ્રહ સમિતિના મતે કોરોનાના નામે લોકોને રંજાડવામાં આવી રહ્યા હોવાથી આ પ્રવૃત્તિ બંધ કરવા માટે તંત્રને લીગલ નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસની સાથે સાથે એમ પણ જણાવાયું છે કે તંત્ર દ્વારા શહેરમાં ધનવંતરી રથ, સંજીવની રથ, માઈક-ભૂંગળા, ટીવી સ્ક્રીન, કોરોના ટેસ્ટ તેમજ ડોર ટુ ડોર સર્વે બંધ કરવામાં નહીં આવે તો અધિકારીઓ સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે સમિતિ દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને લીગલ નોટિસ પણ ફટકારવામાં આવી છે.
એડવોકેટ કલ્પેશ મોરીએ ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે તેમના અસીલ અશોક પટેલ, પ્રવીણ લાખાણી, મહેશ મહિપાલ, અશોક બુટાણી, અમિત કાંતા પટેલ, દીપક પુજારાએ નાગરિક સમાજ દ્વારા મહાપાલિકાને આપેલી નોટિસમાં કુલ આઠ આદેશ કર્યા છે જેમાં ડોર ટુ ડોર સર્વે બંધ કરી દેવા, ધનવંતરી-સંજીવની રથો ફેરવવા બંધ કરી દેવા, કોરોના ડાયગ્નોસીસ માટે તમામ પ્રકારના ટેસ્ટ બંધ કરી દેવા, વીડિયો સંદેશ પ્રસરાવવા માટેની ટીવી સ્ક્રીનો તેમજ ઓડિયો સંદેશ પ્રસરાવવા માટેના સ્પીકર પરના કોરોના સંબંધિત પ્રસારણો બંધ કરી દેવા, આરોગ્યના બહાને ધારણાઓ આધારિત તમામ ગુનાહિત પ્રવૃત્તિઓ બંધ કરી દેવા, ‘ફેક કોરોના’ને પેસ્ટ કરવાના બદઈરાદે હોર્ડિંગ, અખબારો, કોલર ટયુન તેમજ સોશિયલ મીડિયા પરની તમામ જાહેરખબરો બંધ કરી દેવા, ડબલ્યુએચઓ, ડબલ્યુઈએફ કે પીએચએફઆઈ જેવી ભ્રષ્ટ અને છુપા હેતુઓ માટે કામ કરી રહેલી સંસ્થાઓ દ્વારા લોકોના શોષણ માટેના ગુપ્ત કાર્યક્રમો પર અમલ બંધ કરી તેવા તેમજ માનવ વસતીને ઘટાડવા તેમજ વધતી અટકાવવાના ગુપ્ત ડી-પોપ્યુલેશનના એટલે કે જેનોકાઈડની ગુપ્ત પ્રવૃત્તિઓમાં મહાપાલિકા તંત્રનો દુરુપયોગ ન કરવા સહિતનો સમાવેશ થાય છે. સમિતિના મતે કોરોના નામની કોઈ બિમારી છે જ નહીં, માત્રવેક્સિન વેચવા માટે ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
