યોગ, પ્રાણાયમ, લાફિંગ થેરેપી અને યોગ્ય ડાયટ સાથે રઘુવંશીઓને ક્વોરેન્ટાઇન થવાની મળી રહી છે સુવિધા
મોરબી: કોરોનાના સામાન્ય લક્ષણ કે હળવો કોરોના થયો હોય ત્યારે ડૉક્ટર ઘેર રહીને સારવાર કરવાની દર્દીને સલાહ આપતા હોય છે. જો કે ઘરમાં કવોરંટાઇન થવાથી પરિવારના અન્ય સ્વસ્થ સભ્યોને ચેપ લાગવાનું થોડુંઘણું જોખમ રહેતું હોય મોરબી રઘુવંશી સમાજ દ્વારા નાગરિક બેંક સામે લોહાણા વિદ્યાર્થી ભવનમાં સમાજના લોકો માટે એક કવોરંટાઇન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં આજે બુધવારે ચાર લોકો સ્વસ્થ થતા ડૉકટરોએ તેઓને ફૂલ આપી આગળની જીંદગીમાં સ્વસ્થ રહેવાની કામના કરતા હસતા મુખે રજા આપી હતી.

નાગરિક બેંકની સામે આવેલા લોહાણા વિદ્યાર્થી ભવનમાં સમાજના લોકો માટે 50 બેડનું કોવિડ કવોરંટાઇન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં આજે બુધવારે સવાર સુધી 19 દર્દીઓ કવોરંટાઇન હતા. જે પૈકી 4 લોકો સ્વસ્થ થતા તેઓને ફૂલ આપી શુભેચ્છાસહ ઘેર જવા દેવાયા હતા.
ઉપરોક્ત સેન્ટરમાં એમ.ડી. તથા એમ.બી.બી.એસ. ડોકટર, બે મેડિકલ ઓફિસર, સાત નર્સિંગ સ્ટાફની દેખરેખ હેઠળ કવોરંટાઇન થયેલા લોકોની સેવા-શ્રુષૂતા કરવામાં આવી રહી છે. 4 સફાઈ કામદારો સહિત તમામ સ્ટાફ 24×7 કાર્યરત રહે છે. આથી અડધી રાત્રે કવોરંટાઇન થવા આવેલા લોકોને પણ અહીં યોગ્ય સારવાર અને દેખરેખ મળી રહે છે.
ઉલ્લેખનીય છે કે, આ સેન્ટરમાં એક ટેલિવિઝન રાખવામાં આવ્યું છે. જેના દ્વારા લાફિંગ થેરેપી આપવાના ભાગરૂપે કોમેડી શૉ અને હાસ્યરસ પીરસતા અન્ય વિડીઓ દર્શાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત લાફિંગ થેરેપી, યોગ, પ્રાણાયમ, કસરત કરાવવામાં આવે છે. આજે ઘેર જઇ રહેલા ચાર લોકોએ જણાવ્યું હતું કે ઉપરોક્ત પ્રક્રિયાને કારણે માનસિક શાંતિ મળવાથી તથા નકારાત્મકતા દૂર થવાથી તેઓ ઝડપથી સ્વસ્થ થયા છે. વળી ફિઝિયો ફિટ જિમ ચલાવતા ફિજીઓથેરાપીસ્ટ ડૉ. ભાવિન ચંદે અહીં પોતાની નિઃશુલ્ક સેવા આપી રહ્યા હોય તેનો ફાયદો પણ ક્વોરેન્ટાઇન થયેલા લોકોને મળી રહ્યો છે. તેઓએ સૂચવેલા ડાયટ ચાર્ટ પ્રમાણે દાખલ થયેલા લોકોને ફ્રુટ, ઉકાળો, દૂધ સહિતનો આપતો સંતુલિત આહાર પણ લોકોને સ્વસ્થ થવામાં ખૂબ સહાયક બનતો હોવાનું વિશાળ સંચાલક મંડળના એક સભ્ય એવા રુચિર કારીયા એ જણાવ્યું હતું
