
ચોક્કસ ધ્યેય સાથે સતત પ્રયત્નો કરતી કોઈ પણ વ્યકિત જીવનમાં સફળતા પામે જ છે.સંગીત,સાહિત્ય,કલા,રમતગમત,શિક્ષણ એ બધા જ વિષયો ખૂબ જ મોટી સાધના,મહેનત અને ધીરજ માગી લે છે.મૂળ પોરબંદરના વતની પિતા કિસનલાલ ગોવિંદજી ઠકકર/મોનાણી તેમજ માતા પ્રવિણાબેનના પરિવારમાં તારીખ 25-6-1981 ના રોજ નાસિક ખાતે જન્મેલાં રઘુવંશી લોહાણા સમાજનાં દીકરી દીપાબેન મોનાણીએ કલાક્ષેત્રે કથ્થક નૃત્યમાં ખૂબ જ ઉચ્ચ કક્ષાની સાધના કરીને આગવી સિધ્ધિ હાંસલ કરેલ છે.પ્રાથમિક,માધ્યમિક શિક્ષણ નાસિક ખાતે જ પૂર્ણ કર્યા બાદ 2001માં નાસિકની જ ડી.વાય.કે.કોલેજમાંથી તેમણે બી.કોમ.કર્યું હતું.પોતાની મોટી બહેન શીતલબેન મોનાણીના માર્ગદર્શન,સહકાર, પ્રોત્સાહન અને પ્રેરણાથી જ તેઓ કથ્થક નૃત્યમાં આગળ વધ્યાં છે.ગુરૂ-શિષ્યની સર્વોતમ પરંપરામાં રહીને પૂનાનાં તેમનાં ગુરૂજી શ્રીમતી પ્રભા મરાઠેજી પાસેથી કથ્થકનું ઉચ્ચ જ્ઞાન તેમણે પ્રાપ્ત કરી તાલીમ લીધી હતી.2003 થી 2005 માં લલિત કલા કેન્દ્ર પૂના ખાતેથી એમ.એ.ઈન પર્ફોમન્સ આર્ટસનો તેમણે કોર્ષ કર્યો હતો.આ માટે કલાછાયા કલ્ચરલ સેન્ટરની સ્કોલરશીપ મળી હતી.પાંચ વર્ષ પૂનામાં રહેવાનું બન્યું તે દરમિયાન 2005 માં દોઢ મહિના માટે લંડન જવાનું બન્યું.લંડનમાં 15 સ્થળોએ તેમણે વર્કશોપ અને સેમિનાર કર્યા તેમજ 3 સ્થળોએ પોતાનું ઉચ્ચ કક્ષાનું કથ્થક નૃત્યનું પર્ફોમન્સ રજૂ કર્યું હતું.વૃંદાવનના પંડિત બીરજુ મહારાજ સાથે સંપર્કમાં આવવાનું થયું.તેમના માધ્યમથી જ મુંબઈ,દિલ્હી,અમદાવાદમાં તેમણે પર્ફોમન્સ કર્યું અને બીરજુ મહારાજની પર્ફોમન્સ શિષ્યા તરીકેની એક આગવી ઓળખ પ્રાપ્ત થઈ. તેમણે વર્ષ 2000 માં નાસિક ખાતેથી જ કથ્થક વિશારદનો કોર્ષ કર્યો હતો.
નાસિકમાં તેમના નિવાસસ્થાનની બાજુમાં કથ્થક નૃત્યનો કલાસ ચાલતો હતો અને તેમની મોટી બહેન શીતલબેન મોનાણી ત્યાં પ્રેક્ટિસ માટે જતાં હતાં.તેમના જીવનમાં પણ મોટી બહેન પ્રેરણાસ્ત્રોત બન્યાં અને દીપાબેન પણ એ માર્ગે જ કથ્થકમાં આગળ વધી પારંગત બન્યાં.તેમનાં મોટી બહેન શીતલબેન અત્યારે નાસિક લોહાણા મહાજનમાં ખજાનચીની જવાબદારી સંભાળી રહેલ છે.પોરબંદરમાં તેમના દાદાજી ગોવિંદજીભાઈ તેમજ દાદીમા નંદુબેન શ્રીનાથજીની હવેલીમાં નિયમિત કીર્તન કરતાં હતાં.લોકોને જેટલી શ્રધ્ધા શ્રીનાથજી ભગવાનમાં હતી તેટલી જ શ્રધ્ધા કીર્તનકાર ગોવિંદજીભાઈ અને નંદુબેનમાં હતી.ગોવિંદજીભાઈનો અવાજ પણ પહાડી હતો.કથ્થક એ કીર્તનનો જ એક પ્રકાર છે.મહારાષ્ટ્ર,ગુજરાત,બેંગલોર,કલકતા,ઓરિસ્સા,દિલ્હી,પૂના સહિત અનેક સ્થળોએ દીપાબેન તેમનું કથ્થક પર્ફોમન્સ રજૂ કરી ચૂક્યાં છે.તેમને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર 9822771198 છે.
તાજેતરમાં જૂન-2022 માં નાસિક ખાતે વિશ્ર્વ લોહાણા મહાપરિષદની કારોબારી મીટીંગ હતી ત્યારે મને પણ તેમનું પર્ફોમન્સ જોવા મળ્યું અને તેથી જ આજે જીવનદર્શનના માધ્યમથી તેમને આપ સમક્ષ પ્રસ્તુત કરતાં હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.2002 માં કેન્દ્ર સરકારના તત્કાલિન કલ્ચરલ મિનિસ્ટર વિનોદ ખન્નાએ પૂનામાં દીપાબેનનું કથ્થક નૃત્ય નિહાળ્યું અને અતિ પ્રભાવિત થયા હતા.તેમણે તાત્કાલિક એ પછીના અઠવાડિયામાં જ દીપાબેનને દિલ્હી બોલાવી ફર્સ્ટ લેડી ઓફ રશિયા મીસીસ પુટીન સમક્ષ ઈન્ડિયન મ્યૂઝિયમમાં કથ્થક નૃત્યના માધ્યમથી રજૂ કર્યાં હતાં.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન (આઈ.સી.સી.આર.) ના માધ્યમથી કુવૈત,દક્ષિણ આફ્રિકા,ટાન્ઝાનિયા,લંડન સહિત વિવિધ સ્થળોએ તેમનું કથ્થક પર્ફોમન્સ થયેલ છે.તેમણે મરાઠી બ્રાહ્મણ શ્રીનીકેત બક્ષી કે જેઓ નાસિકમાં ખૂબ જ સારા ફાઇનાન્સિયલ એડવાઈઝર છે તેમની સાથે એરેજન્ડ મેરેજ કરેલ છે.તેમના શ્ર્વસુર પક્ષમાં મોટા ભાગના તમામ સંગીત,સાહિત્ય,કલા,શિક્ષણ સાથે ખૂબ જ સારો નાતો ધરાવે છે અને બધા ખૂબ જ શિક્ષિત છે.શ્રીકૃષ્ણ ભગવાનને વ્યોમની ઉપમા આપેલ છે અને તેના આધારે જ દીપાબેને તેમના દીકરાનું નામ પણ વ્યોમ જ રાખેલ છે.તેમનો દીકરો વ્યોમ નવ વર્ષનો છે જે હાલે ધોરણ-4 માં અભ્યાસ કરે છે.તેમના દીકરાનો જન્મ જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે જ થયો હતો.કથ્થક નૃત્યના માધ્યમથી મહારાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં અનેક સ્થળોએ તેમને જવાનું બન્યું છે.ગુજરાતમાં તેમને સાસણ ગીર,દ્રારિકા,સોમનાથ,રાજસ્થાનમાં ઉદેપુર,શ્રીનાથજી,ઉત્તર પ્રદેશમાં બનારસ તેમજ મહારાષ્ટ્રમાં મહાબળેશ્ર્વર,નાસિક,પૂના,મુંબઈ,સોલાપુર,ઔરંગાબાદ સહિતનાં સ્થળો તેમને વધારે ગમ્યાં છે.માતાપિતાની સેવા કરવાના પ્રેરણાદાયી હેતુ સાથે તેમનાં મોટી બહેન શીતલબેને મેરેજ પણ નથી કર્યાં.
તેઓ વિવિધ સ્કૂલોમાં કથ્થકની ફેકલ્ટી તરીકે તાલીમ તેમજ માર્ગદર્શન આપવા જાય છે.તેમની અંતરંગ નામની પોતાની એક સંસ્થા છે.સ્પીક માકે એટલે કે સોસાયટી ફોર ધી પ્રેમોશન ઓફ ઈન્ડિયન ક્લાસીક મ્યૂઝિક એન્ડ કલ્ચરલ એમોંગ યુથમાં તેઓ કો ઓર્ડીનેટર છે જેની કામગીરી સમગ્ર વિશ્ર્વમાં પથરાયેલ છે.2013માં દીકરો જન્મતાં જ તેના ઉછેર માટે તેમણે લાંબો વિરામ લીધો હતો.હવે ફરીથી તેઓ કથ્થક નૃત્યમાં સક્રિય થયાં છે.ભવિષ્યમાં લોહાણા રઘુવંશી સમાજ તેમજ વૈષ્ણવ સમાજના અનેક દીકરા-દીકરીઓ કથ્થક નૃત્યથી વધારે માહિતગાર થઈ પારંગત થાય તેવી તેમની પ્રબળ ઈચ્છા છે.નાસિક લોહાણા સમાજ દ્રારા તાજેતરમાં જ પાંચ જણની એવોર્ડ માટે પસંદગી કરવામાં હતી તેમાં પણ દીપાબેનની કલ્ચરલ વિભાગમાંથી પસંદગી થઈ હતી.
ગુજરાતનાં કુમુદિની લાખીયા કે જેમને પદ્મશ્રી તેમજ પદ્મભૂષણ મળેલ છે એમણે જ તેમની એમ.એ.ની પરિક્ષા લીધી હતી.દીપાબેનની કથ્થક નૃત્યની કામગીરીથી પ્રભાવિત થઈ કુમુદિનીબેને તેમના ગાંધીનગર,અમદાવાદ,દિલ્હી ખાતે કાર્યક્રમો કરાવ્યા હતા.તારીખ 1-10-2022 શનિવારે નાસિકના વ્યંકટેશ બાલાજી મંદિર ખાતે દીપાબેન તેમજ તેમના શિષ્યોનો કથ્થક નૃત્ય આધારિત અદભૂત રાસનો કાર્યક્રમ રાખેલ છે.તેમના આધ્યાત્મિક ગુરુદેવ નાસિક મહાપ્રભુજીની બેઠક 108 ગોસ્વામી પરેશકુમારજી બાવા સાહેબ તરફથી સતત પ્રોત્સાહન મળતું જ રહે છે.
ખૂબ જ ખંત,ઉત્સાહ,ઉચ્ચ ધ્યેય સાથે નિયમિત કથ્થક નૃત્ય કરતાં દીપાબેને દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો થકી પોતાનું,પરિવારનું,સમાજનું,નાસિકનું,મહારાષ્ટ્રનું તેમજ સમગ્ર ભારત દેશનું નામ રોશન કરી આગવું ગૌરવ વધારેલ છે.ખૂબ જ નાની ઉંમરે કથ્થક નૃત્યમાં આગવી સફળતા હાંસલ કરનાર દીપાબેનને કોટિ કોટિ વંદન સાથે અભિનંદન..અઢળક શુભેચ્છાઓ તેમજ નિરામય દીર્ઘાયુ માટે દિવ્ય પ્રભુ પ્રાર્થના…
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
ડીસા
મોબાઇલ : 9825638643
