
ઉતર ગુજરાતના પ્રસિધ્ધ સાહિત્યકાર કનુભાઈ આચાર્યના પુસ્તક “વંચિતોની વારતા” નું અમદાવાદ ખાતે થયેલ દબદબાભેર વિમોચન
અંદાજે 75 જેટલાં પુસ્ત્કોના રચિયતા,ઉતર ગુજરાતના જાણીતા લેખક,કવિ,સંપાદક,સાહિત્યકાર કનુભાઈ કે.આચાર્યના પુસ્તક “વંચિતોની વારતા” નું બનાસ સાહિત્ય કલા સંઘ દ્રારા ગુજરાતી સાહિત્ય પરિષદ ભવન અમદાવાદ ખાતે દબદબાભેર વિમોચન કરાયું હતું.આ અવસરે ખૂબ જ મોટી સંખ્યામાં લેખકો,કવિઓ,પત્રકારો,સાહિત્યકારો તેમજ રસજ્ઞો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જાણીતા સાહિત્યકાર,વાર્તાકાર કાનજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં તેમના વરદહસ્તે જ પુસ્તકનું લોકાર્પણ કરાયું હતું.વારતાઓની રસમીમાંસા જાણીતા સાહિત્યકારો સર્વ પ્રવીણભાઈ ગઢવી તેમજ કિરિટભાઈ દૂધાતે કરી હતી.કાર્યક્રમના પ્રારંભે પ્રાર્થના બાદ સૌનું શાબ્દિક સ્વાગત બનાસ સાહિત્ય કલા સંઘના મહામંત્રી ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.જાણીતા પત્રકાર તેમજ લેખક રમેશભાઈ તન્નાએ કનુભાઈ આચાર્યની લેખન શકિતની યોગ્ય સરાહના કરી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ અમદાવાદના સાહિત્યપ્રેમી બિલ્ડર વિનોદભાઈ ગોકલાણીએ કરી હતી.પુસ્તકના લેખક કનુભાઈ આચાર્યે પોતાના સ્વાનુભવથી કઈ રીતે વારતાનું કથાબીજ મળે છે તે વાત કરી હતી.અધ્યક્ષ કાનજીભાઈ પટેલે પ્રેરણાદાયી મનનીય વકતવ્ય રજૂ કર્યું હતું.સમગ્ર આયોજન માટે ગુજરાતી સાહિત્ય પરિષદના હર્ષદભાઈ ત્રિવેદી,બનાસ સાહિત્ય કલા સંઘના ઈશ્ર્વરભાઈ રાવળ,,એસ.આર.બેન્કર,અનંતકુમાર આચાર્ય,જયેશકુમાર આચાર્ય સહિત સૌ ઉપયોગી નીવડયા હતા.સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન કલ્યાણ દેસાઈએ કર્યું હતું.
