
કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે પંજાબ-હરિયાણા સહિત દેશભરના ખેડૂતોએ દિલ્હી-રાજસ્થાન બોર્ડર પર પડાવ નાંખ્યો છે. છ- છ બેઠકોના અંતે પણ ખેડૂતો કેન્દ્ર સરકારની વાત માનવા તૈયાર નથી જેના કારણે આંદોલન ઉગ્ર થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. દિલ્હી બોર્ડર પર ચાલી રહેલાં ખેડૂત આંદોલનથી ગુજરાતના ખેડૂતો વાકેફ થાય તે માટે આંદોલનકારી ખેડૂતોએ સોશિયલ મિડીયાનો સહારો લીધો છે. ઝૂમ એપ , ફેસબુક લાઇવ કરી ખેડૂત સંઘર્ષ સમિતી, વિવિધ ખેડૂત સંગઠનો ઉપરાંત રાજ્યભરના ખેડૂતો સાથે સંપર્ક કરશે અને આંદોલન સ્થળે દેશભરના ખેડૂતો રોજબરોજ શું કરી રહ્યાં છે,કેવી રીતે વિરોધ નોંધાવી રહ્યાં તે બધીય બાબતોથી વાકેફ કરાશે.
આંદોલનકારી ખેડૂતોએ સોશિયલ મિડીયાનો સહારો લીધો
કડકડતી ઠંડીમાં ગુજરાતથી 500થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પહોચ્યાં છે અને ધરણાં સહિત અન્ય કાર્યક્રમ યોજી આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. ગઇકાલે વધુ 80 ખેડૂતો દિલ્હી પહોંચ્યા જેમાં માલધારી બહેનોનો ય સમાવેશ થાય છે. હાડ ગાળે તેવી ઠંડીમાં શૌર્ય ગીતો ગાઇને ખેડૂતોએ રાત વિતાવી હતી. આ ઉપરાંત આજે માલધારી બહેનો ઉપરાંત ખેડૂતોએ ગરબા રમીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે.ખેડૂતોએ આજે પણ સિઘુ બોર્ડર જઇ અન્ય રાજ્યના ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. ખેડૂતોની રોજરોજ બેઠક મળી રહી છે જેમાં રણનીતિ અને આગામી કાર્યક્રમ ઘડવામાં આવે છે.
ખેડૂતોની રોજરોજ બેઠક મળી રહી છે

આવતીકાલે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવા નક્કી કરાયુ છે. દિલ્હી બોર્ડરથી ખેડૂત નેતાઓએ જણાવ્યું કે,ગુજરાતમાંથી વધુને વધુ ખેડૂતો આંદોલનમાં સક્રિય બને તે માટે આયોજન કરાયુ છે.ખેડૂત સંગઠનોને જીલ્લા-તાલુકાની જવાબદારી સોંપવામાં આવી છે. હવે ઑંદોલનમાં ય સોશિયલ મિડીયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાંથી વધુને વધુ ખેડૂતો આંદોલનમાં સક્રિય બને તે માટે આયોજન કરાયુ
આંદોલનસ્થળે પણ વિવિધ રાજ્યના ખેડૂતો લેપટોપ-ટેબલેટથી સજ્જ છે અને વોટ્સએપ ગુ્રપ,ફેસબુક,ટ્વિટર ઉપરાંત ઝૂમ એપથી આંદોલનની રજેરજની વિગતોથી વાકેફ કરાય છે. હવે આંદોલન સ્થળેતી ઝૂમ એપ ઉપરાંત ફેસબુક લાઇવ કરી ગુજરાતના ખેડૂતો સાથે સંપર્ક કરાશે અને આંદોલન સ્થળે શું શું થઇ રહ્યુ છે, કેવુ ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવ્યું છ, ગુજરાતના ખેડૂતો કેવા કાર્યક્રમ કરી વિરોધ કરી રહ્યાં છે. આ બધીય બાબતોની ઓનલાઇન જાણકારી આપવામાં આવશે.
ઓનલાઇન જાણકારી આપવામાં આવશે
ખેડૂત નેતાઓએ એવો આક્ષેપ કર્યો કે, ગુજરાતથી આંદોલનમાં ભાગ લેવા આવેલાં ખેડૂતોના ઘેર જઇને પોલીસ પૂછપરછ કરી ખોટી રીતે હેરાન કરી રહી છે. ગઇકાલે વાંકાનેરથી દિલ્હી આવેલાં ખેડૂત યુવાનોના પિતાને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરાઇ હતી. આજે પડઘરીમાં ભાજપે ખેડૂત સંમેલન યોજ્યુ હતુ તે વખતે કોંગ્રેસ કિસાન સેલના નેતાઓને નજરકેદ કરાયો હતાં. રાજકોટ અને ભાવનગરમાં હજુય ખેડૂત આગેવાનો નજરકેદ કરાયાં છે.
