મોરબી: છેલ્લા 11 દિવસોથી પ્રતિદિન પેટ્રોલ-ડીઝલના ભાવમાં 30થી 35 પૈસાનો વધારો થઈ રહ્યો છે. એક મહિનામાં રાંધણગેસના સિલિન્ડરમાં 100 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ત્યારે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસ પર લાગતો વેટ નાબૂદ કરી ભાવો અંકુશમાં લાવવાની રજુઆત કરી છે.
પેટ્રોલ, ડીઝલ તેમજ રાંધણગેસના ભાવો કુદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં તો પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને આંબી ગયું છે. ગરીબ તેમજ સામાન્ય લોકોના ઘરનું બજેટ આ ભાવ વધારાને લઈને ખોરવાઈ ગયું છે. લોકોને મોઘવારીનો અસહ્ય માર પડી રહ્યો છે ત્યારે કે.ડી.બાવરવાએ મુખ્યમંત્રી, વિપક્ષના નેતા, કલેકટર મોરબી સહિતના લોકોનું આ બાબતે ધ્યાન દોરી ગેસ, પેટ્રોલ-ડીઝલ પર લાગતો વેટ નાબૂદ કરવા રજુઆત કરી છે.
મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં બાવરવાએ જણાવ્યું છે કે, ગુજરાતની પ્રજાને સુખાકારી અને સારું જીવન જીવવામાટે યોગ્ય કરવું તે આપના હાથમાં છે અને તે આપની ફરજ પણ છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતો વેટ સંપૂર્ણ નાબૂદ કરીને પ્રજાને અસહ્ય મોઘવારીના મારથી બચાવો. જો આવું કરવામાં નહિ આવે તો ગુજરાતના નાના અને મધ્યમવર્ગને જીવન જીવનું દોહલું બની જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં ડીઝલ-પેટ્રોલ પર કૃષિસેસ નાખવામાં આવ્યો હતો. જો કે, એ સેસ જે તે પેટ્રોલિયમ કંપની પર નાંખવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. ત્યારે હવે કંપનીઓનું એ ભારણ ઘટાડવા માટે છેલ્લા 11 દિવસોથી પ્રતિદિન પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં આવી રહ્યા છે. આખરે પેટ્રોલિયમ કંપની પાસેથી વસુલવામાં આવનાર કૃષિ સેસનું ભારણ આડકતરી રીતે સામાન્ય જનતા પર જ ઠોકી બેસાડવામાં આવ્યું હોય તેવું લોકો અનુભવી રહ્યા છે.
