મોરબી : પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્મા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં પ્રદેશ પ્રભારીએ કહ્યું હતું કે ભાજપ કાલે ચૂંટણી જાહેર કરે, અમે જીતીને દેખાડી દેશું. આ ઉપરાંત તેઓએ આગામી 15 દિવસની અંદર સંગઠનના હોદેદારોના નિમણૂક કરાશે તેવું પણ ઉમેર્યું હતું.
કોંગ્રેસના પ્રદેશ પ્રભારી ડો. રઘુ શર્મા અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મોરબીમાં સંગઠન મજબૂત બનાવવા સહિતના મુદ્દાઓ ઉપર સ્થાનિક નેતાઓ સાથે બેઠકોનો ધમધમાટ ચલાવી વિગતો મેળવવાની સાથે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ વેળાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેન્તીભાઈ પટેલ, ધારાસભ્ય લલિતભાઈ કગથરા, વાંકાનેરના ધારાસભ્ય મહમદ પીરઝાદા તેમજ જિલ્લા, તાલુકા અને શહેરોના હોદેદારોની પણ ઉપસ્થિતિ રહી હતી. પ્રદેશ પ્રભારી ડો. રઘુ શર્માએ એવું જણાવ્યું હતું કે અમે સંગઠનને મજબૂત કરી રહ્યા છીએ. નવા 13 જિલ્લા અધ્યક્ષ નીમ્યા છે. હજુ આવનારા 15 દિવસોમાં પ્રદેશના, જિલ્લાના અને તાલુકા સંગઠનોમાં નિમણૂકો કરીશું. કોંગ્રેસ 2022માં 125 સીટો ઉપર વિજય મેળવી ગુજરાતમા સરકાર બનાવશે. ભાજપ આવતીકાલે ચૂંટણી જાહેર કરી દયે તો પણ અમે જીતી લેવા સક્ષમ છીએ.તેમ તેઓ અંતમાં જણાવીને હસવા લાગ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે ભાજપ ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે ભાજપ ગુંડાઓને પોષે છે. ભાજપના રાજમાં દર અઠવાડિયે રાજકોટ- સુરત જેવા શહેરોમાં ગુંડાઓ ખુલ્લી તલવાર અને બંદુકો લઈને રોફ જાડતા હોય તેવા વીડિયો જગજાહેર થતા રહે છે. ભાજપના રાજમાં ગુંડાગિરીને વેગ મળ્યો છે. આવા તત્વો સાથે ભાજપની મિલીભગત છે. તેઓએ ઉમેર્યું કે ધંધુકામાં હત્યા થઈ એક મહિનામાં કેમ આરોપીઓને ફાંસીને ચઢાવી દેતા નથી.
