મોરબી : આ વર્ષે વધુ વરસાદ પડતા મોરબી અને માળીયા તાલુકાના ખેડૂતોના પાકને નુકશાન થતા બન્ને તાલુકાને અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરવા મામલે ભાજપના અગ્રણીઓએ મોરબી-કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી, રાજકોટના સાંસદ, રાજ્યમંત્રી વગેરેને રૂબરૂ રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરી ખેડુત હીતમાં નિર્ણય લેવા માંગ કરવામાં આવતા સરકાર હકારાત્મક હોવાનું તાલુકા ભાજપના અગ્રણીઓએ જાહેર કર્યું છે.
મોરબી તાલુકા, માળીયા તાલુકા તેમજ આમરણ ચોવીસીમાં થયેલ અતિવૃષ્ટી અને પાકની નુકસાની બાબતમાં મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, માળીયા તાલુકા ભાજપના પ્રમુખ મણીલાલ સરડવા,આમરણ તાલુકા પંચાયત સીટના સદસ્ય જાગૃતિબેન યોગેશભાઈ વાધડીયા, આમરણ ચોવીસીના ભાજપના અગ્રણી સુરેશભાઈ કાસુન્દ્રા,હસમુખભાઈ ગાબી દ્વારા મોરબી-કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ગુજરાત સરકારના મંત્રી અને મોરબી—માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને રૂબરૂ મળી મોરબી—માળીયા તાલુકા તથા આમરણ ચોવીસીમાં થયેલ અતિવૃષ્ટી અને પાકને નુકસાની બાબત રજુઆતો કરેલ હતી.
આ સંદર્ભમાં તાલુકા ભાજપના અગ્રણીઓની રજુઆતના પગલે ઉપરોકત આગેવાનોએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી રાવજીભાઈ પટેલને જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા તા. 8ના રોજ પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરી ખેડુત હીતમાં નિર્ણય લેવા માંગ કરવામાં આવી હતી. જેના અનુસંધાને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આમરણ ચોવીસી વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધેલ હતી. ત્યારબાદ કૃષિ મંત્રી દ્વારા તા.23 ના રોજ ખેતી નિયામકને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપેલ હોવાનું તાલુકા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું.
વધુમાં ખેતીવાડી નિયામકે તા. 30ના રોજ જીલ્લા વિકાસ અધીકારી મોરબીને પત્ર લખી આ બાબતમાં ઘટતી કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. પરંતુ વરસાદની આગાહી અને ચાલુ વરસાદમાં સર્વે કરવાનું શક્ય ન હોવાથી વરસાદી વાતાવરણ ઓછુ થાય ત્યારબાદ સર્વે કરવાનું જીલ્લા ખેતીવાડી અધિકારીએ જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને મૌખિક રીતે જણાવેલ હતું. જેના અનુસંધાને તા.13ના રોજ ખેતીવાડી અધિકારીએ સર્વેનો હુક્મ જારી કરેલ હોવાનું પણ જાહેર કરાયું છે.
અતિવૃષ્ટીના સંદર્ભમાં સાંસદ, પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા , મોહનભાઈ કુંડારીયા, જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભભાઈ દેથરીયા, રાજય સરકારના મંત્રી તેમજ મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની તા.8થી જ સક્રિય ભૂમિકાના કારણે ગુજરાત સરકાર દ્વારા ખેડુત હીતમાં નિર્ણય કરવાની સ્થિતિમાં હોય એ બદલ મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, માળીયા તાલુકા ભાજપના પ્રમુખ મણીલાલ સરડવા, આમરણ તાલુકા પંચાયત સીટના સદસ્ય જાગૃતિબેન યોગેશભાઈ વાધડીયા,આમરણ ચોવીસીના ભાજપના અગ્રણી સુરેશભાઈ કાસુન્દ્રા તથા હસમુખભાઈ ગામી જીલ્લા ભાજપ અગ્રણીઓનો આભાર વ્યકત કર્યો હતો.