મોરબી : તા ૨ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના પછી એક જાણીતા દૈનિક અખબારમાં બોટાદનો વતની યુવાન લાપતા હોવાના સમાચાર પ્રસિદ્ધ થયેલા અને આ બાબતે મોરબી પોલીસે તપાસ કરતા યુવાન તેમના વતનમાં હેમખેમ હોવાનું બહાર આવ્યું છે અને આ બાબતે સમાચાર પ્રસિદ્ધ કરાવનારની પણ પોલીસે પૂછપરછ કરી છે.
અખબારમાં જયદેવસિંહ ઉર્ફે ખોડુભા ધર્મેન્દ્રસિંહ વાળા રહે. નિંદાળા, તા. ગઢડા, જિલ્લો બોટાદ વાળો યુવાન મોરબી પુલ ઉપર ફરવા આવ્યા બાદ લાપતા હોવાના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. જે બાબતે મોરબી પોલીસે તપાસ કરતા આ યુવાન તેમના વતનમાં સલામત હોવાનું બહાર આવ્યું હતું.
બીજી તરફ આ સમાચાર મોરબીના શક્તિસિંહ વાળાએ પ્રસિદ્ધ કરાવ્યા હોવાનું પોલીસને જાણવા મળતા પોલીસે આ યુવકની પૂછપરછ કરતા સમાચાર ખોટા છપાવ્યા હોવાની કબૂલાત આપી હતી.
આ સંજોગોમાં મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ મીડિયા, પત્રકારોને ઝૂલતા પુલ દુર્ઘટનામાં લાપતા, ગુમ થયેલ વ્યક્તિ અંગેના સમાચારો તંત્ર સાથે ખરાઈ સંકલન બાદ જ પ્રસિદ્ધ કરવા અનુરોધ કરાયો છે.
