

મોરબી : તા ૫ હાલ મોરબીની સિવિલ હોસ્પિટલનો મેઈન ગેઇટ જર્જરિત હાલતમાં મોત બનીને લટકી રહ્યો હોવાથી ગમે ત્યારે દુર્ઘટના બને તેવી ભીતિ સેવાય રહી છે. આથી આ સિવિલ હોસ્પિટલના મેઈન ગેઇટથી કોઈ અકસ્માત થાય એ પહેલાં તેનું યોગ્ય સમારકામ કરવાની માંગ સાથે સામાજિક કાર્યકરોએ કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી છે.
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, મુસાભાઈ બ્લોચ, અશોકભાઈ ખરચરિયા, જીગ્નેશભાઈ પંડ્યા સહિતનાએ કલેકટર અને સિવિલ હોસ્પિટલ તંત્રને રજુઆત કરી હતી કે, મોરબીની સિવિલ હોસ્પિટલમાં વર્ષો જૂનો મેઈન ગેઇટ આવેલો છે તે ઘણા સમયથી જર્જરિત અને ખંઢેર હાલતમાં છે. આ સિવિલ હોસ્પિટલમાં મેઈન ગેઇટ જર્જરિત થવાથી તેનો અમુક હિસ્સો નીચે લટકતો હોય ગમે ત્યારે અકસ્માત થાય તેવી ભીતિ છે. નેતાઓના આગમન સમયે સિવિલમાં રાતોરાત સુવિધા ઉભી કરનાર સિવિલ તંત્ર વર્ષોથી આ બાબતે ઘોર ઉપેક્ષા કરી રહ્યું હોય કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ ? આથી આવી કોઈ ઘટના બને તે પહેલાં સિવિલના વર્ષો જુના જર્જરિત મેઈન ગેઇટનું યોગ્ય રિપેરીગ કરવાની માંગ કરી છે.

