મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અંતર્ગત આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. આ ચૂંટણી મુક્ત – ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને સમગ્ર મોરબી જિલ્લામાં સુલેહ – શાંતિ તથા કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તે માટે મોરબીના નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે.મુછારએ આગામી તા. ૧૦/૧૨/૨૦૨૨ સુધીના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લામાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધારે વ્યક્તિઓને એકત્રિત ન થવા તથા કોઈ સભા ન ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ કર્યો છે.
આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે સભા સરઘસની મંજૂરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તથા સભા સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ઉમેરવાનો રહેશે.
આ હુકમ ફરજ પર હોય તેવા ગૃહ રક્ષક દળના વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને તથા કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી.
