• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સૌમ્યશીલ,સૌજન્યશીલ,ચારિત્ર્યશીલ,પ્રમાણિક વ્યકિતત્વના માધ્યમથી પ્રેરણાદાયી જીંદગી જીવી અલવિદા થયેલ ડીસાના વંદનીય રઘુવંશી અગ્રણી રમેશભાઈ ઉમિયાશંકરભાઈ અખાણી/ઠકકર* 

હળાહળ કળિયુગમાં પણ સોનાની શુધ્ધ લગડી જેવો સો ટકા સાચો,સમજુ,સારો,સેવાભાવી,પરગજુ,ઉદાર,હિતકારી માણસ જોવા મળે તો ખરેખર એ કુદરતની મોટી કૃપા કે આશ્ર્ચર્યજનક અજાયબી જ કહી શકાય.આ પૃથ્વી ઉપર ખોટા અને ખરાબ માણસો કરતાંય સાચા તેમજ સારા માણસો ઘણા છે પણ સ્વાર્થી જગતમાં તેમને ઓળખવાનું કામ અતિ મુશ્કેલ છે.પરમ વંદનીય પિતા ઉમિયાશંકરભાઈ હરગોવનદાસ અખાણી/ઠકકર તેમજ આદરણીય માતુશ્રી સુભદ્રાબેનના પરિવારમાં તારીખ 3-1-1950 ના રોજ મોસાળ ગામ શિહોરી (તાલુકો:કાંકરેજ,જિલ્લો:બનાસકાંઠા) ખાતે જન્મેલા દિયોદર/ડીસાના વતની એવા રમેશભાઈ અખાણી એક વિરલ વ્યક્તિત્વના મહા માલિક હતા.તેઓ સૌમ્યશિલ,સૌજન્યશીલ,સજ્જનતાશીલ,ચારિત્ર્યશીલ,ઉદાર,પ્રમાણિક,સેવાભાવી અને પરગજુ હતા.જેના મૃત્યુ પછી આપણને અતિશય દુખ કે આઘાત લાગે ત્યારે સમજવું કે આ પૃથ્વી ઉપરથી એક ઓલિયા-સંત જેવા મહા માનવ વ્યક્તિએ વિદાય લીધી છે.આ પૃથ્વી ઉપર હજારો માણસોને મળવાનું થાય છે પણ રમેશભાઈ અખાણી જેવો મહામાનવ આજ સુધી જોયો નથી કે મળ્યો નથી.

પ્રાથમિક,માધ્યમિક શિક્ષણ ડીસા ખાતે જ પૂર્ણ કરી તેમણે પાલનપુરની બનાસકાંઠા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાંથી બી.એસ.સી.કર્યું હતું.1970 માં તેઓ દેના બેન્કમાં સર્વિસમાં જોડાયા હતા અને 1999 માં ડીસા ખાતેથી સ્વૈચ્છિક નિવૃતી લીધી હતી.ઈમાનદારી,સચ્ચાઈ,પ્રમાણિકતા જેવા અદભૂત સદગુણોને લીધે ડીસાના રઘુવંશી લોહાણા સમાજ,સનાતન હિંદુ સમાજ,સમગ્ર માનવ સમાજ તેમજ જમીન બજારમાં તેમનું મૂઠી ઉંચેરૂ નામ હતું.પૂજ્ય પિતાશ્રી ઉમિયાશંકરભાઈ અને પૂજ્ય માતુશ્રી સુભદ્રાબેનનું નિવાસસ્થાન નિરાધાર તેમજ અનેક જરૂરિયાતમંદો માટે ભગવાનના મંદિરની જેમ એક આશરાનું ધામ હતું.અનેક રઘુવંશીઓને તેમના માધ્યમથી જ ભૂતકાળમાં રોટલો,ઓટલો અને રોજગારી મળેલ છે.1960 થી 1985 ના ગાળામાં ડીસા ખાતે રઘુવંશી દેશી લોહાણા સમાજનાં પરિવારો આંગળીના વેઢે ગણાય તેટલાં જ હતાં.પારકર,વાગડ,મારવાડી,કચ્છી,થરી,સિંધી લોહાણા પરિવારો પણ અલ્પ સંખ્યામાં જ હતાં.ઈશ્ર્વરલાલ શીવરામભાઈ ઠકકર,શાંતિલાલ ગંગારામભાઈ ઠકકર,વસંતભાઈ વકીલ,બચુભાઇ વકીલ,જમનાલાલ કાનાબાર,અમૃતલાલ આચાર્ય,બી.એચ.હાલાણી જેવા કેટલાક વડીલો પૂજ્ય ઉમિયાશંકરભાઈની સલાહ તેમજ માર્ગદર્શન મુજબ નાનીમોટી સમાજ સેવા કરતા હતા. ડીસામાં વઢિયાર કે વાગડ પંથકમાંથી લોહાણા સમાજનો કોઈ વ્યકિત ધંધા કે નોકરી માટે આવે અને ઓળખાણની જરૂર પડે તો ઉમિયાશંકરભાઈની ડીસાની બજારમાં તેમજ તમામ સમાજમાં ઓળખાણ ચાલતી અને તેઓ તમામ રઘુવંશી લોહાણાઓના સાક્ષી બનતા.ડીસાના સમસ્ત સનાતન હિંદુ સમાજમાં ઉમિયાશંકરભાઈની એક આગવી છાપ હતી.

ખૂબ જ હસમુખા,આનંદી,ઉદાર,પરગજુ એવા પૂજ્ય ઉમિયાશંકરભાઈના પરિવારમાં રમેશભાઈ અખાણી,અરવિંદભાઈ અખાણી,વિજયભાઈ અખાણી એમ ત્રણ મહામાનવ જેવા દેવના દીધેલ દીકરાઓ તેમજ રંજનબેન,બીનાબેન એમ ખૂબ જ લાગણીશીલ એવી બે દીકરીઓ સહિત પાંચ ભાઈબહેનોનું અતિ રૂડું પરિવાર કહી શકાય.પૂજ્ય ઉમિયાશંકરભાઈ તેમજ વંદનીય સુભદ્રાબેને સીંચેલા સંસ્કાર,ધાર્મિક વાતાવરણ અને ઉચ્ચ કક્ષાના સદગુણોને લીધે પાંચેય ભાઈબહેનોમાં સેવા,ઉદારતા,પરોપકારના સંસ્કારો જન્મથી જ છલોછલ ભરેલા છે એમ કહી શકાય. આ પરિવારની ત્રણેય પુત્રવધુઓ કમળાબેન,કપીલાબેન,સંધ્યાબેન તેમજ જમાઈઓ પ્રહલાદભાઈ,હિંમતલાલ સહિત સૌ પણ દૂધમાં સાકર ભળે તે રીતે આ પરિવાર સાથે ભળી ગયા અને પરિવારની મ્હેંક અને મીઠાશ વધે તેવા જ સંનિષ્ઠ પ્રયત્નો કર્યા.

નખશીખ ખૂબ જ સજ્જન એવા રમેશભાઈ અખાણી ડીસાના સનાતન હિંદુ સમાજ સહિત સૌ સાથે હળીમળીને રહેતા હતા.ડીસા નગરમાં દેશી,વાગડ,પારકર,મારવાડી,થરી,સિંધી,કચ્છી,કાઠિયાવાડી સહિત અલગ અલગ ગોળના લોહાણા ભાઈઓ ખૂબ જ મોટી સંખ્યામાં વસવાટ કરે છે.આ બધા જ પરિવારો સાથે રમેશભાઈને ખૂબ સારો નાતો હતો.12-9-1986 ના રોજ મારે રેંજ ફોરેસ્ટ ઓફિસર તરીકે ડીસા આવવાનું થયું અને આજે તો ડીસા મારૂ વતન બની ચૂક્યું છે.1986 ના સમયગાળાથી જ પૂજ્ય ઉમિયાશંકરબાપા અને રમેશભાઈ સાથે મારે વધારે બેઠક રહેતી અને આ સંબંધ ધીરે ધીરે વધારે ગાઢ બન્યો.આ સમયથી જ રમેશભાઈના દિવ્ય સદગુણોનો પરિચય સતત થતો હતો.ડીસા નગરમાં રઘુવંશી દેશી લોહાણા મહાજન વાડીનું નિર્માણ થાય તે માટેના પ્રયત્નો પૂજ્ય ઉમિયાશંકરભાઈ તેમજ અન્ય વડીલોના આશીર્વાદથી શરૂ થયા અને તેના પ્રથમ સ્થાપક પ્રમુખ તરીકે માનનીય રમેશભાઈ અખાણીએ જવાબદારી સંભાળી.સમાજ ઉપયોગી આ સત્કાર્ય ક્રમશ: સૌના સહકારથી પૂર્ણ થયું અને એમના અનુગામી ઉત્સાહી પ્રમુખ રમેશભાઈ એમ.ઠકકર (આર.ટી.ઓ.) ના પ્રમુખપણા હેઠળ તેનું વાજતેગાજતે ઉદ્ઘાટન પણ થયું.વાડી નિર્માણ સત્કાર્યમાં ડીસા સમાજના તમામ વડીલો,આગેવાનો,યુવાનો,મહિલાઓ,સેવકો,કાર્યકરોનો પ્રેરણાદાયી સહકાર મળ્યો હતો.શ્રી લોહાણા પ્રગતિ યુવક મંડળ સંચાલિત કચ્છી કોલોની ડીસા વિસ્તારમાં નિર્માણ પામેલ શ્રી જલારામ સેવા સંકુલના નિર્માણમાં આદરણીય રમેશભાઈ અખાણીના જબરજસ્ત આશીર્વાદ,સહકાર અને માર્ગદર્શન હતું.શ્રી જલારામ મંદિર ડીસાના નિર્માણમાં તેમનાં સૂચનો ઉપયોગી નીવડયાં હતાં.પૂજ્ય પાંડુરંગદાદાના સ્વાધ્યાય કાર્યમાં તેઓ પૂર્ણકાલીન સમય માટે સમર્પિત હતા.તેમના લીધે ભૂતકાળમાં પૂજ્ય પાંડુરંગદાદાને પાલનપુર ખાતે તેમજ પૂજ્ય દીદીને ડીસા તેમજ મુડેઠા ખાતે મારે ખૂબ જ નજીકથી મળીને ઈન્ટરવ્યુ લેવાનું બનેલ અને આ વિષેના લેખ એ સમયે રખેવાળમાં પણ પ્રસિદ્ધ થયેલ.

માન-અપમાનની સહેજ પણ પરવા કર્યા સિવાય સતત કામ કરનાર રમેશભાઈ અખાણી ક્યારેક અપમાનને પણ ગળી જઈને કે પોતાનું વ્યકિતગત હીત જતું કરીને સમાજનું ભલું થાય તે દિશામાં જ વિચારતા અને કાર્યરત રહેતા.એમની સાથે કલાકો સુધી બેસીને એમની નવી નવી વાતો કે નવા નવા રચનાત્મક વિચારો જાણવાની આગવી મજા આવતી હતી.તેમની વૈચારિક અભિવ્યક્તિ,વિષયને મૂકવાની શૈલી તેમજ શુધ્ધ આચરણથી સૌ પ્રભાવિત થતા હતા.તેમના સુપુત્ર આનંદભાઈ,સુપુત્રીઓ ફાલ્ગુનીબેન,ભાવનાબેન (લાલીબેન),પૂજાબેન,પુત્રવધુ ધારાબેન,જમાઈઓ જયેશકુમાર,અંકિતકુમાર,દીપેનકુમાર સહિતનો સમગ્ર પરિવાર રમેશભાઈ અખાણીના સ્વાધ્યાય કાર્ય તેમજ સત્કાર્યોથી પ્રભાવિત થઈ હંમેશાં રાજીપો અનુભવતો. તારીખ 7-12-1972 ના રોજ હારિજના સમાજ શ્રેષ્ઠી આદરણીય છગનલાલ કેશવલાલ તન્ના તેમજ શ્રીમતી અમથીબેનની લાડકવાયી દીકરી કમળાબેન સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા તેમજ આદરણીય કમળાબેને પણ સાચા અર્થમાં એક ગૃહલક્ષ્મી બનીને રમેશભાઈનો સંપૂર્ણ સાથ નિભાવ્યો અને સમગ્ર પરિવારની સમર્પિત ભાવે સેવા કરી.રમેશભાઈ અખાણી જેટલા સરળ તેનાથી સવાયાં સરળ અને સેવાભાવી કમળાબેન હોવાને લીધે સમગ્ર પરિવારની એકતા અને સેવાની સુગંધ સમગ્ર ડીસા ઉપરાંત ગુજરાતના લોહાણા સમાજમાં પણ પ્રસરી હતી.

સામાજીક,ધાર્મિક તેમજ સ્વાધ્યાયલક્ષી પ્રવૃતિઓની સાથે સાથે ડીસા નગરના વિકાસની વાત હોય તો પણ રમેશભાઈ અખાણી તેમાં રસ લઈને જરૂરી માર્ગદર્શન આપતા.તમામ પક્ષના રાજકીય મહાનુભાવો કે ડીસા નગરપાલિકાના સત્તાધીશો પણ તેમને માન અને આદરની દષ્ટિથી નિહાળી પૂરતું સન્માન આપતા હતા.તારીખ 5-11-2022 શનિવારે અમદાવાદ ખાતે તેમનું દેહાવસાન થતાં તેમની સ્મશાનયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં પરિવારજનો,સ્નેહીજનો,સમાજજનો,પરિચિતો,મિત્રો જોડાયા હતા.તારીખ 7-11-2022 સોમવારે અમદાવાદ ખાતે તેમનું બેસણું/દશો હતો તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.ડીસા નગરની લાગણી અને માગણીને ધ્યાને લઈ તેમના પરિવારજનોએ તારીખ 9-11-2022 બુધવારે માતુશ્રી સુભદ્રાબેન ઉમિયાશંકર હરગોવનદાસ અખાણી રઘુવંશી દેશી લોહાણા મહાજન વાડી ખાતે બેસણું તેમજ પ્રાર્થના સભા રાખી ત્યારે લોહાણા સમાજ ઉપરાંત અન્ય સમાજમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને હ્દયના ખરા ભાવથી રમેશભાઈ અખાણીને પુષ્પાંજલિ,ભાવાંજલિ,આદરાંજલિ,શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રાર્થનાસભામાં અનેક વકતાઓએ તેમના ગુણાનુવાદ કર્યા હતા.

સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ ઉપરાંત તેમની સાથે સંકળાયેલ સૌ કોઈ માટે રમેશભાઈ અખાણીની વસમી વિદાય આઘાતજનક હતી.રમેશભાઈ અખાણી ભલે અમદાવાદ રહેતા હતા પરંતુ અમદાવાદનું પાણી તેમને અસર કરી શક્યું નહોતું અને તેથી જ તેમનો લગાવ અને લાગણી સતત ડીસા તરફ રહેતાં હતાં.તેઓ જ્યારે પણ મળે ત્યારે ભરપૂર નિસ્વાર્થ સ્નેહ,પ્રેમ અને લાગણી વરસાવતા તેમજ હંમેશાં હસતા મોંઢે ખૂબ જ આનંદથી સૌ સાથે વાતો કરતા.એમને મળીએ એટલે આપણે પણ આપણી વેદનાઓ,ઉપાધિઓ,સંકટો કે મુશ્કેલીઓને આપોઆપ ભૂલી જઈએ તેવું તેમનું વંદનીય વ્યક્તિત્વ હતું.રમેશભાઈ અખાણી સાથે ગાળેલી મહામૂલી ક્ષણો આજે પણ જીવન જીવવા માટેની પ્રેરણાદાયી સંજીવની સમાન છે.રમેશભાઈ અખાણીની ખોટ એમના પરિવારને તો સાલશે જ;સાથે સાથે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ અને ડીસા નગરને પણ સાલશે.

ખૂબ જ વંદનીય,અભિનંદનીય,અનુકરણીય,અનુમોદનીય જીવન જીવીને સૌને સાચુકલું,સારૂ,ધાર્મિક,સેવાભાવી,ઉદાર, પરગજુ જીવન જીવવાની અનેરી પ્રેરણા આપનાર પરમ આદરણીય રમેશભાઈ અખાણીને કોટિ કોટિ વંદન.જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા રમેશભાઈ અખાણીના દિવ્ય આત્માને ચિરશાંતિ અર્પે તેમજ સૌ પરિવારજનોને આ કારમો આઘાત સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના…

ભગવાનભાઈ ઠક્કર (બંધુ)

ડીસા

મોબાઇલ:9825638643

Related posts

*મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો ત્રણ બાઇકની ચોરીનો ભેદ ઉકેલી બેની ધરપકડ*

Hello Morbi

*મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જતા બજાણીયા પરિવારોએ થરા જલારામ મંદિરે દર્શનનો લાભ લીધો*

Hello Morbi

*HELLO MORBI:ખેડબ્રહ્મા તેમજ વડોદરા લોહાણા સમાજનું ગૌરવ વધારતી અનવેશા ઠકકર*

editor

Leave a Comment