
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા જર્જરીત મકાનમાં રહેતા પરીવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ પૂરું પાડવાનો પ્રધાન મંત્રી આવાસ યોજનાનો ઉદેશ છે. ગરીબ માણસને રહેવા માટે પોતાની માલિકી નું ઘર મળી શકે તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રધાનમંત્રી આવાસ યોજના આજે જન જન સુધી પહોંચી રહી છે.
આ રીતે ચૂકવાય છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રકમ અને સાથે અન્ય યોજનાના લાભો પણ ખરા
લાભાર્થી પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ બ્લોક લેવલે પ્રથમ હપ્તામાં રૂ.૩૦,૦૦૦ ઓનલાઈન જમા કરવામાં આવે છે . લીનટેલ લેવલે રૂ.૮૦,૦૦૦ તેમજ આવાસ પૂર્ણ થયે રૂ. ૧૦,૦૦૦ આમ કુલ રૂ.૧,૨૦,૦૦૦ ની સહાય લાભાર્થીઓને અપાય છે. આ સિવાય શૌચાલય બનાવવા માટે બાંધકામ સહાય પેટે રૂ. ૧૨,૦૦૦
તેમજ ન્હાવાના બાથરૂમ બનાવવા માટે પીએમએવાય યોજના હેઠળ રૂ. ૫,૦૦૦ ની સહાય અપાય છે. આ યોજનામાં પ્રોત્સાહન સ્વરૂપે જો લાભાર્થીઓને પ્રથમ હપ્તો ચૂકવવાની તારીખથી છ માસમાં જ આવાસ પૂર્ણ થઈ જાય તો મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજના માંથી રૂ. ૨૦,૦૦૦ ની વધારાની સહાય મળે છે.
આ સિવાય ગરીબ પરિવારોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને અન્ય યોજનાઓ જેમાં મનરેગા યોજના હેઠળ ૯૦ દિવસની રોજગારી સ્વરૂપે રૂ.૨૦,૬૧૦ સુધી મળે છે. ઉજ્જવલા યોજના અંતર્ગત મફત સિલિન્ડર અપાય છે. તેમજ રાશનકાર્ડ, ઉજાલા, સ્વચ્છ ભારત મિશન, નલ સે જલ, વગેરેનો વધુમાં વધુ લાભાર્થીઓના પરિવારને મળે તેવી સરકારશ્રી દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
આ રીતે નક્કી થાય છે પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીઓ
લાભાર્થીની ઓળખ અને પસંદગીમાં પારદર્શિતા જળવાઈ તો જ બધા માટે ઘર એ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય જરૂરિયાતવાળા પરિવારોને આવાસ મળે તે માટે SECC 2011 ની સામાજિક અને આર્થિક મોજણીના ડેટા તેમજ આવાસ પ્લસ ના સર્વે મુજબ ઘરવિહોણા પરિવારોને આવરીને તમામ પાસાઓની ચકાસણી ગ્રામસભા દ્વારા કરવામાં આવે છે. અને તેના આધારે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન અનુસરવામાં આવે છે. આ યોજના અંતર્ગત પસંદ થયેલા લાભાર્થીઓના આવાસ ના બાંધકામનું જુદા જુદા લેવલનું રૂબરૂ સ્થળ પર ઓનલાઇન જીઓટેગ કરવામાં આવે છે. તેમના આધારે તેઓને ઓનલાઈન હપ્તાની રકમ સીધા તેમના બેંક ખાતામાં તાલુકા કક્ષાએથી જમા કરાવવામાં આવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગાંધીનગર ખાતેથી આગામી ૧૨ મે ના રોજ ૧૯૪૬ કરોડના ખર્ચે ૪૨,૪૪૧ આવસોનું લોકાર્પણ, ખાતમુહર્ત અને ગૃહપ્રવેશનો આવાસ ઉત્સવ કાર્યક્રમ યોજવાનો છે. જેમાં ગુજરાત રાજ્યના શહેરોમાં ૭,૧૧૩ અને ગામડાઓમાં ૧૨,૦૦૦ આવાસોનું લોકાર્પણ થનાર છે ત્યારે મોરબી જિલ્લામાં કુલ ૩૫ આવસોનું લોકાર્પણ થશે. જેમાં તાલુકા મુજબ હળવદમાં ૧, માળિયામાં ૨ , મોરબીમાં ૫ , ટંકારામાં ૭ , અને વાંકાનેરમાં ૨૦ આવસોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૧૬-૧૭ થી અત્યાર સુધીમાં કુલ ૧૪૩૬ લાભાર્થીઓના આવાસનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. મોરબી જિલ્લામાં તાલુકા મુજબ નજર કરીએ તો હળવદમાં ૩૭૪, માળિયામાં ૭૦, મોરબીમાં ૨૬૧, ટંકારામાં ૧૯૭, અને વાંકાનેરમાં ૫૩૪ આવસોનું કાર્ય પૂર્ણ કરલ છે, જે દર્શાવે છે કે ડબલ એન્જીન સરકારના વિકાસ કાર્યોમાં પ્રચંડ વેગ આપવાનું કાર્ય પ્રધાનમંત્રી આવાસ જેવી લોક કલ્યાણકારી યોજના થકી થઈ રહ્યું છે. જેનાથી નાગરીકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે.

