
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ પરીવારોને ઘર બનાવવા માટે સરકારશ્રી દ્વારા સહાય કરવામાં આવે છે. શિયાળો, ઉનાળો, ચોમાસુ જેવી તમામ ઋતુઓમાં તેઓને આશ્રય મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આવાસ બનાવતા હાલ તેઓનું જીવનધોરણમાં સુધારો થયો છે અને બારેમાસ ઋતુ સામે પૂરતું રક્ષણ મળી રહે છે. જેથી કુટુંબનું સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને રૂ.૧,૨૦,૦૦૦ ની સહાય તેમજ અન્ય યોજના જેવી કે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના, મનરેગા યોજના મારફત ૯૦ દિવસની રોજગારી તેમજ વીજળી અને પાણીની સગવડનો લાભ મળતા જીવન ઘોરણ ઊંચુ આવે છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા દેવશીભાઈ રાઠોડ જણાવે છે કે આવાસનો લાભ મળ્યા પહેલા અમારું રહેણાંક ગારમાટીનું કાચું નળિયાવાળું તેમજ ભયજનક સ્થિતિમાં હતું. જેથી ગમે ત્યારે જાનહાની થવાની ચિંતા રહેતી હતી. શિયાળાની ઋતુમાં નળિયાવાળું મકાન હોવાથી ખૂબ ઠંડી અનુભવાતી હતી. ઉનાળાની ઋતુમાં ખૂબ પવન અને ગરમીનો પરીવારે સામનો કરવો પડતો હતો. ચોમાસાની ઋતુમાં મકાનમાં ઘણી જગ્યાએથી પાણી પડતું હતું જેથી અમારી ઘર વખરી પલળી જતી હતી. અમને આવાસ યોજનાનો લાભ મળવાથી બારે માસ ઋતુ સામે રક્ષણ મળી ગયું છે. પાકું આવાસ બની જવાથી સમાજમાં સન્માનજનક સ્થિતિમાં અમો જીવી શકીએ છીએ. તેમજ બાળકોના સગપણના સંબંધો સમયસર સારી જગ્યાએ કરી શકવાની આશા બંધાઈ છે. આવાસ યોજનાનો લાભ આપવા બદલ હું દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું.

