
ડીસાની સ્થાપનાના 200 મા વર્ષની ઉજવણી નિમિત્તે ચિત્રકલાના પુસ્તકોનું વિમોચન
ડીસાની સ્થાપનાના 200 મા વર્ષની ઉજવણી હાલે ચાલુ છે ત્યારે બનાસ સાહિત્ય કલા સંઘ અને હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ ડીસાના સંયુક્ત ઉપક્રમે જાણીતા ચિત્રકાર -સાહિત્ય વ્યાસંગી નાથાલાલ બ્રહ્મક્ષત્રિય દ્રારા રેખાંકિત કરાયેલ સ્મરણિકા તેમજ કોરોના સમયનાં સંવેદનો એમ બે પુસ્તકોનું હરિઓમ સ્કૂલ ડીસા ખાતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું.
આ દિવ્ય અવસરે અધ્યક્ષસ્થાને સાહિત્ય સર્જક કનુભાઈ આચાર્ય, મુખ્ય મહેમાનો તરીકે બનાસ સાહિત્ય કલા સંઘના મહામંત્રી ભગવાનભાઈ બંધુ તેમજ હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટના નિયામક નટુભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિવિશેષ તરીકે લોક સાહિત્યકાર તગજીભાઈ બારોટ,સરહદી સાહિત્ય સભાના પ્રમુખ શંકરભાઈ ઠક્કર, માધ્યમિક ચિત્રકલા સંઘ બનાસકાંઠાના પ્રમુખ ચેતનભાઈ વાઘેલા, રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષક ચંદુભાઈ એટીડી તેમજ હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી સરદારભાઈ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં બંધુ બાલઘરની દેવીપૂજક દીકરીઓ ભાવના, શિલ્પા,રેશ્માએ પ્રાર્થના રજૂ કરી હતી.શાબ્દિક સ્વાગત નટુભાઇ વ્યાસે કર્યું હતું.પુસ્તકોનું વિમોચન ગ્રાફિક ડિઝાઇનર્સ તેમજ સાહિત્ય વ્યાસંગી આર્ટીસ્ટ વી.કમલે કર્યું હતું.તમામ વક્તાઓએ ચિત્રકલાને કેન્દ્રમાં રાખી નાથાલાલ બ્રહ્મક્ષત્રિયના સદગુણો તેમજ નિજાનંદી જીવન વિશે વિચારો રજૂ કર્યા હતા.સમગ્ર કાર્યક્રમની સફળતા માટે નીલેશભાઈ રાવલ, ઈશ્વરભાઈ રાવળ, બળદેવભાઇ રાયકા, જીગ્નેશભાઈ ખત્રી, રેખાબેન ખત્રી, કલ્પેશભાઈ -લાલાભાઈ સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સમયબદ્ધ સુચારૂ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.સૌએ નાથાલાલ બ્રહ્મક્ષત્રિયને રૂબરૂ મળી અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
