
દક્ષિણ ભારતનાં રાજ્યો ઉપર ગત અઠવાડિયે જ ચક્રવાત નિવાર ત્રાટક્યું હતું ત્યાં હવે વધુ એક ચક્રવાત તામિલનાડુ અને કેરળ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચક્રવાત બુરાવી તામિલનાડુ અને કેરળના કિનારે ગમે ત્યારે ટકરાઈ શકે તેવી શક્યતા છે. ગુરુવારે મોડી રાત્રે અથવા શુક્રવારે આ ચક્રવાત બંને રાજ્યો ઉપરથી પસાર થઈ શકે છે. આ બંને રાજ્યોમાં વાવાઝોડા મુદ્દે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કેરળમાં સાત જિલ્લામાં રેડ એલર્ટ જારી કરાયું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે તામિલનાડુ અને કેરળના મુખ્યમંત્રી સાથે આ મુદ્દે ચર્ચા કરીને તમામ મદદની ખાતરી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, તામિલનાડુના પંબન અને કન્યાકુમારીની વચ્ચે વાવાઝોડું ટકરાય તેવી શક્યતાઓ છે. આ દરમિયાન બંને રાજ્યોમાં ૯૦ કિ.મી.થી વધુની ઝડપે પવન ફુંકાવાની અને ભારે વરસાદ પડી શકે છે.
એનડીઆરએફની ૨૬ ટુકડીઓ તહેનાત કરાઈ
બંને રાજ્યોમાં પૂરની અને વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક તંત્ર ઉપરાંત એનડીઆરએફની ૨૬ ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. બીજી તરફ ૨૦૦૦થી વધારે રાહત છાવણીઓ તૈયાર કરવામાં આવી છે. તામિલનાડુ અને કેરળના કિનારા ગામમાં પણ કેટલાક વિસ્તારોમાંથી લોકોને રાહત છાવણીઓમાં ખસેડી દેવાયા છે. માછીમારોને પાંચમી સુધી દરિયો ન ખેડવા માટે પણ સુચના આપવામાં આવી છે.

