તહેવારોમાં જો તમને અચાનક વધારાના પૈસા મળી જાય તો તમારી ખુશીઓ ડબલ થઈ જશે.
નવી દિલ્હી: તહેવારોમાં જો તમને અચાનક વધારાના પૈસા મળી જાય તો તમારી ખુશીઓ ડબલ થઈ જશે. આ જ વાતને ધ્યાનમાં રાખીને તામિલનાડુ (Tamilnadu) ની સરકારે મોટી જાહેરાત કરી છે. તામિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ શનિવારે ચોખા લેવા પાત્ર તમામ રાશનકાર્ડ ધારકોને પોંગલ તહેવાર માટે 2500 રૂપિયા કેશ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કેશ પ્રોત્સાહન 4 જાન્યુઆરી 2021થી આપવામાં આવશે. જેથી કરીને લોકો પોંગલ પાક ઉત્સવ ઉજવી શકે. કોરોનાના આ સમયમાં સરકારની આવી જાહેરાત લોકો માટે મોટી રાહત છે.
2.6 કરોડ લોકોને થશે ફાયદો
હાલમાં જ રાજ્ય સરકારે રાશનકાર્ડ ધારકોને સસ્તી ખાંડ ખરીદવા માટે પણ માન્ય કરી દીધા હતા જે ચોખાના કાર્ડ પર સ્વિચ કરી શકે છે. પલાનીસ્વામીના જણાવ્યાં મુજબ પોંગલ પેકેજથી 2.6 કરોડ ચોખા કાર્ડ ધારકોને ફાયદો થશે અને પોંગલ તહેવાર અગાઉ તેને વહેંચવામાં આવશે. પોંગલ તહેવાર 14 જાન્યુઆરીએ આવે છે.
ગત વર્ષે મળ્યા હતા આટલા પૈસા
ગત વર્ષે કેશ પ્રોત્સાહન તરીકે રાજ્ય સરકારે લોકોને 1000 રૂપિયા આપ્યા હતા. જેમા આ વર્ષે 1500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાશનકાર્ડ ધારકોને 2500 રૂપિયા કેશ ઉપરાંત એક કિલો ચોખા, ખાંડ અને એક આખી શેરડી પણ વિનામૂલ્યે આપવામાં આવશે.
તામિલનાડુમાં શરૂ થઈ ચૂંટણીની તૈયારી
તામિલનાડુમાં ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે તામિલનાડુમાં 2021માં વિધાનસભા ચૂંટણી થવાની છે. રાજ્યના બંને પ્રભાવી પક્ષો AIADMK અને DMK પોતાના ચમત્કારિક નેતાઓ જયલલિતા અને કરુણાનિધિ વગર જ ચૂંટણીમાં ઉતરશે. ડીએમકેને લોકસભામાં ખુબ સફળતા મળી પરંતુ તેના નેતા સ્ટાલિનની અસલ પરીક્ષા 2021માં થશે. બીજી બાજુ AIADMK સત્તામાં હોવા છતાં વિભિન્ન જૂથોમાં વહેંચાયેલી હોવાથી નબળી પડી છે. સત્તાદારી જૂથ અને દિનકરણ નેતૃત્વવાળું જૂથ એક સાથે આવે તો તેઓ મજબૂત થઈને ઊભરી શકે છે.
