ભરૂચ: અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી અને છોટુ વસાવાની બીટીપી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓવૈસી ગુજરાતની મુલાકાતે. તેમણે આજે ભરૂચમાં બીટીપી સાથે પહેલી સભા સંબોધી. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા, સાથે જ પૂર્વ સાંસદ અહેમદ પટેલને યાદ કર્યા. ઓવૈસીએ જણાવ્યું કે, જે એવું માને છે કે આ મોદી અને શાહનું ગુજરાત છે તો તે ખોટું છે. આ ગુજરાત ગાંધીનું છે અને રહેશે. વંચિત સમાજને એક કરવા માટે ગુજરાત આવ્યો. સાથે જ તેમણે એમ પણ કહ્યું, ભાજપ અને કોંગ્રેસ મામા-ભાણેજની પાર્ટી. AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે, આજે અમે વિકલ્પ લઈને આવ્યા ત્યારે આદિવાસી ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ બહેનોને અપીલ કરું કે તમે આ વિકલ્પ પસંદ કરો. અમારો હેતુ ચૂંટણી જીતવાનો નથી, લોકોને હક આપવાનો. આપ અમારા માટે દુઆ કરો. દિલ્હીમાં દેશના ખેડૂતોએ નરેન્દ્ર મોદીની નિવ હલાવી નાખી. જે લોકોને ચૂંટી મોકલીએ છે એ બહેરા થઈ જાય છે.
ઓવૈસીએ વધુમાં જણાવ્યું કે, ભાજપ સૌનો સાથ સૌનો વિકાસ અને વિશ્વાસની વાત કરે છે. એ તો પ્રજા સાથે વિશ્વાસઘાત. ગુજરાત ભારતનો હિસ્સો. હું ભારતનો નાગરિક છું માટે ગુજરાત આવ્યો છું. જે એવું માને અને વિચારે કે આ ગુજરાત મોદી અને અમિતશાહનું ગુજરાત તો એ ખોટું છે. આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે અને ગાંધીનું જ રહેશે. અમિત શાહ અને મોદી ગાંધીથી મોટા નથી અને નહીં થાય. આ એ ગુજરાત છે જેણે પોતાની કાબેલિયત અને મહેનતના જોરે ભારતને મજબૂત કર્યું. હું ભલે જુબાનનો ગંદો છું પણ વંચિત સમાજને એક કરવા ગુજરાત આવ્યો છું.
ઓવૈસીએ જાહેર મંચ પરથી અહેમદ પટેલને યાદ કર્યા અને જણાવ્યું કે અહેમદ પટેલ માટે દુઆ કરી છે, તેઓ સાથે મારા સારા સંબંધ હતા. તેમણે કોંગ્રેસ અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ- ભાજપ મામા ભાણેજની પાર્ટી. કોંગ્રેસના 12 ધારાસભ્યો ભાજપમાં જોડાયા, એ લોકો પહેલાથી જ ભાજપ સાથે સંપર્કમાં હતા. અમારી પાર્ટીનું એક માત્ર લક્ષ્ય કે પોલિટિકલ વેક્યુમને પૂર્ણ કરવો. છોટુ વસાવાનું એન્કાઉન્ટર કરવા ઓર્ડર નીકળેલા પણ લોકોએ સાથ ન છોડ્યો.
