
જીવનદર્શન મંગળવાર તારીખ 12-9-2023
અનેકજનોને ઉપયોગી નીવડી મહાન કાર્યો કરી આ દુનિયાને અલવિદા કરતા મહામાનવ માધાપર (કચ્છ) ના શશીકાંતભાઈ ઠક્કર
—————————–
કરોડો માણસો આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે છે પરંતુ મુઠીભર માણસો જ સારાં કાર્યો થકી સારી સુવાસ મૂકીને આ દુનિયાને અલવિદા કરે છે.તારીખ 31-12-1935 ના રોજ પિતા મોહનલાલ દેવચંદભાઈ તન્ના/ઠકકર તેમજ માતા સાકરબેનના પરિવારમાં માધાપર (કચ્છ) ખાતે જન્મેલ શશીકાંતભાઈ ઠક્કરે અર્થશાસ્ત્ર તેમજ રાજ્યશાસ્ત્ર સાથે બી.એ.કર્યું હતું.1980 માં એલ.એલ.બી.(સ્પેશિયલ) માં કોલેજમાં તેઓ પ્રથમ હતા.મહેસૂલી ખાતાની લાયકાત પરિક્ષામાં ગુજરાતમાં તેઓ બીજા નંબરે હતા.અમદાવાદની સરદાર પટેલ ઈન્સ્ટીટયૂટમાં 1984 માં તેમણે વહીવટી કાયદાઓની તાલીમ લીધી હતી.ભારત સરકાર તેમજ યુનિસેફના સંયુક્ત ઉપક્રમે 1984 માં અમદાવાદની આઈ.આઈ.એમ.માં તેમણે “મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ફોર સોશિયલ સર્વિસીસ મેનેજર્સ” નો કોર્સ કર્યો હતો.18 વર્ષ મહેસૂલ ખાતામાં અને 18 વર્ષ વિકાસ ખાતામાં એમ 36 વર્ષ ગુજરાત સરકારના વહીવટી વિભાગમાં સેવા કરી ગુજરાત વહીવટી સેવા વર્ગ -1 માંથી તેમણે 1987 માં સ્વૈચ્છિક નિવૃતિ લીધી હતી.ન્યાયિક તેમજ અર્ધન્યાયિક કાર્યવાહીનો તેમને વિપુલ અનુભવ હતો.ગુજરાત બાર કાઉન્સિલના તેઓ રેગ્યુલર નોંધણી પામેલ એડવોકેટ હતા.
“મહેસૂલી પત્રિકા”નામક ખાતાકીય પાક્ષિકનું સંપાદન કાર્ય તેમણે ઘણા વર્ષો સુધી સંભાળ્યું હતું.1988 થી 1997 સુધી અખિલ કચ્છ લોહાણા મહાજનના પ્રમુખ તરીકેની તેમની સેવા સરાહનીય હતી.આ ઉપરાંત અખિલ ગુજરાત લોહાણા સમાજના વિભાગીય ઉપપ્રમુખ,ભૂજ લોહાણા મહિલા આશ્રમના પ્રમુખ તેમજ ટ્રસ્ટી,લોહાણા મહાપરિષદ મુંબઈના કારોબારી સભ્ય,કચ્છ જિલ્લા પેન્શનર્સ એસોસિએશનના માનદ સલાહકાર,માધાપર લોહાણા મહાજન વાડીના આજીવન ટ્રસ્ટી તેમજ પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી,માધાપર રોટરી કલબના ચાર્ટર મેમ્બર તેમજ કોમ્યુનિટી સર્વિસ ચેરમેન,માતુશ્રી ઝવેરબેન અંદરજી ચતવાણી અમરધામ સેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ,મંગળદાસ શીવજી દનાણી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી,કચ્છ ડેવલપમેન્ટ કાઉન્સિલ અમદાવાદના બિનહરિફ ઉપપ્રમુખ એમ તમામ સંસ્થાઓમાં તેમની સેવાઓ અતિ વંદનીય,અભિનંદનીય,સરાહનીય,અનુકરણીય,અનુમોદનીય હતી.
મહિલા ગ્રામ રક્ષક દળની સ્થાપના તેમજ કાર્યક્રમો માટે તેમને પ્રશસ્તિપત્ર તેમજ કુટુંબ નિયોજન હેઠળ તેમને ગોલ્ડ મેડલ મળ્યો હતો.દુષ્કાળના પ્રશ્ર્નો અને ઉપાયો એ વિષય ઉપર જૂનાગઢથી પ્રસિદ્ધ થતા પ્રેરણા પાક્ષિકમાં તેમનો માહિતીસભર લેખ પ્રસિદ્ધ થયો હતો.સરકારી ખાતાઓ વચ્ચેનું ઘર્ષણ ઘટાડવા અને પંચાયતોની કાર્યક્ષમતા સુધારવા અંગે તેમણે ગુજરાત સરકારમાં અહેવાલ રજૂ કર્યો હતો.કચ્છના બની વિસ્તારમાં ક્ષારનું આક્રમણ અટકાવવાની કમિટીમાં સરકારના સિંચાઇ વિભાગ તરફથી તેમને કોઓપ્ટ કરાયા હતા.”એ ટ્રીટાઈસ ઓન સેલીનીટી ઈન્ગ્રેસ ઈન કચ્છ નોર્ધન બોર્ડર” એ વિષય ઉપર અહેવાલ તૈયાર કરી તેમણે પેટા સમિતિને સુપ્રત કર્યો હતો.રાપર ઘટક માટેનો માર્ગદર્શિકા પ્લાન ઘડવામાં તેમનો પ્રશંસનીય ફાળો હતો.ભારત સરકાર અને યુનિસેફના ઉપક્રમે “વિસ્તાર વિકાસ યોજના” માં તેમણે અબડાસા,લખપત તાલુકાઓમાં 90 જેટલાં બાલમંદિરો સ્થાપી તેનું સફળ સંચાલન કર્યું હતું.”સિંધુ વોટર્સ એન્ડ કચ્છ “એ વિષય ઉપર તેમણે અંગ્રેજીમાં પ્રેરણાદાયી પુસ્તક લખ્યું હતું.કચ્છના ખૂબ જ જૂના તેમજ પ્રખ્યાત દૈનિક કચ્છ મિત્રમાં “પ્રજાતંત્રના પ્રશ્ર્નો” એ વિષય ઉપર કોલમ લેખક તરીકે તેમના અસંખ્ય લેખો પ્રગટ થયા હતા.
કચ્છ જિલ્લા કાનૂની સેવાકીય મંડળની કાનૂની શિબિરોમાં તેમની પ્રશંસનીય કામગીરી હતી.”નર્મદા જળ વિવાદ અને કચ્છ ” એ વિષય ઉપર તેમણે જાહેર મનનીય પ્રવચન આપ્યું હતું.કચ્છમાં ભૂકંપ અને અસરગ્રસ્ત કુટુંબોના પુનર્વસન માટેની તેમની કામગીરી કાબિલેદાદ હતી.કચ્છને થયેલા અન્યાય બાબતે તેમની રજૂઆતો ધારદાર હતી.2003 માં વિવિધ વિષયો ઉપરના લેખોનું સંકલન કરી”શશિકિરણે કચ્છ ” નામનું સરસ પુસ્તક તેમણે પ્રગટ કર્યું હતું.એ પછી તેના ભાગ-2 અને ભાગ-3 પણ પ્રગટ થયા હતા.માધાપરમાં “શ્રી હરિશાંતિ નિકેતન” નામે વયસ્ક વિશ્રામ સ્થાનમાં તેઓ પ્રમુખ હતા.એક સારા વાંચક,વિચારક,લેખક,વકતા,સંશોધક, પ્રચારક,પ્રસારક,રજૂઆત કર્તા તરીકેની તેમની ભૂમિકા ખૂબ ખૂબ જ અજોડ અને મહત્વની હતી.તેમના ત્રણ દીકરાઓ દિનેશભાઈ,કમલેશભાઈ,શૈલેષભાઈ તેમજ ત્રણ દીકરીઓ ભારતીબેન,નીતાબેન,નલિનીબેન સહિત સૌનાં પરિવારો સારી રીતે સેટ થયેલ છે.તેમના પરિવારમાં ડો.સચિન ઠકકર,ડો.દર્શન રાજાણી તેમજ ડો.પીનલ રાજાણી (વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર) પણ વર્તમાનમાં સેવાકાજે સતત કાર્યરત છે.
28-4-2021 ના રોજ માનનીય શશીકાંતભાઈએ આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ ઉપરાંત કચ્છ વિસ્તારમાં ઘેરા શોક અને આઘાતની લાગણી ફેલાઈ હતી.
આદરણીય શશીકાંતભાઈની વિદાયથી કચ્છ વિસ્તારે તેનો કોહિનૂર ગુમાવ્યો છે તો રઘુવંશી લોહાણા સમાજે સમાજનું રતન,હીર,યુગપુરુષ,ૠષિપુરૂષ ગુમાવ્યાનો સૌને અહેસાસ થયો છે.એમનો ખાલીપો કયારેય પૂરી નહી શકાય પણ તેમના વિચારો,જીવન અને કાર્યોમાંથી વર્ષો સુધી અનેકજનોને કામ કરવાની નવી પ્રેરણા મળતી જ રહેશે.પરમ આદરણીય શશીકાંતભાઈ ઠક્કરના જીવનકાર્યો તેમજ જીવનમૂલ્યોને કોટિ કોટિ વંદન,અભિનંદન સાથે તેમના દિવ્ય આત્માને જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા ચિરશાંતિ બક્ષે તેવી અંત:કરણથી પ્રાર્થના…શ્રધ્ધાંજલિ
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
બી.એ.,બી.એસ.સી.,એલ.એલ.બી.
ડીસા-બનાસકાંઠા-ગુજરાત
મોબાઇલ:9825638643
