
ટંકારામાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભવ્ય “તિરંગા યાત્રા” યોજાઈ: દેશભક્તિના રંગે રંગાયું શહેર
(*નૈમિષ સેજપાલ દ્વારા*)પ્રજાસત્તાક પર્વની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે આજે ટંકારા તાલુકા વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય અને ઉત્સાહવર્ધક “તિરંગા યાત્રા”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ટંકારા શહેર આજે ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાઓથી ગુંજી ઊઠ્યું હતું.
આ તિરંગા યાત્રાનો પ્રારંભ સવારે ૮:૩૦ કલાકે ટંકારાની એમ. પી. દોશી વિદ્યાલય ખાતેથી થયો હતો.
રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિના બુલંદ નારાઓ સાથે યાત્રાનું પ્રસ્થાન ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા એ કરાવયુ હતું. હાથમાં ત્રિરંગો લહેરાવતા હજારો નાગરિકો અને વિદ્યાર્થીઓના જોડાવાથી શહેરના મુખ્ય રાજમાર્ગો કેસરી, સફેદ અને લીલા રંગથી છવાઈ ગયા હતા. શિસ્તબદ્ધ રીતે આગળ વધેલી આ વિશાળ રેલી નગરચર્યા બાદ મામલતદાર કચેરી ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી.
આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ટંકારાના મામલતદાર પિ એન ગોર તાલુકા વિકાસ અધિકારી ગૌતમ ભિમાણી, પોલીસ ઈન્સ્પેક્ટર જે. ડી. ઝાલા સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓએ હાજરી આપી હતી. ઉપરાંત તાલુકાની વિવિધ પંચાયતોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાલિકાના હોદેદારો સદસ્યો સ્થાનિક સામાજિક અગ્રણીઓ, શાળાના ઉત્સાહી વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ પૂર્ણ દેશભક્તિના ભાવ સાથે જોડાઈને કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો.
યાત્રાના અંતે મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને દેશના નિર્માણમાં પ્રત્યેક નાગરિકના યોગદાન વિશે પ્રેરણાદાયી વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનથી ટંકારા તાલુકામાં અભૂતપૂર્વ રાષ્ટ્રીય ચેતના અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો.

