
પાલનપુર તાલુકાના કોટડા ભાખર ગામમાં વહેલી સવારે પશુઓ દોહવાના મશીન દ્વારા અગિયાર દુધાળી શંકર ગાયો શોર્ટ સર્કિટ થતાં ગાયોને કરંટ લાગતાં તમામ ૧૧ ગાયોના મોત નિપજ્યા હતા.
પાલનપુરના ભાખર કોટડા ગામના રામસીંગભાઈ ચૌધરી એ પોતાના ખેતરમાં તબેલો બનાવી ૧૪ ગાયો રાખી તેની દુધની આવકમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે તેઓએ નિત્યક્રમ મુજબ આજરોજ વહેલી સવારના સુમારે ગાયોને દોહવા માટે ઓટોમેટિક મિલ્ક મશીન લગાવ્યુ છે.
જે મશીનમાં ઈલેકટ્રિક શોર્ટ સર્કિટ થવાને કારણે તબેલામાં ઉભેલી ૧૧ ગાયોને એક જ સાથે કરંટ લાગ્યો અને તમામ ૧૧ દુધાળી ગાયો એકસાથે મૃત્યુ પામી હતી. ત્યારે ખેડુત પરિવારના માથે ગાયોના મોત થવાથી માથે આભ તુટી પડયુ છે અને હવે ખેડુતને લાખો રૂપિયાનુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જેમાં અંદાજીત ખેડુતને ૧૦ થી ૧પ લાખ રૂપિયાનુ નુકશાન થયું છે.
ગાયોના મોત અંગેના સમાચાર આસપાસના ગામોમાં પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતાં બનાસડેરીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જયાં તબેલો ગાયોથી ભરેલ હતો તે થોડી જ વારમાં ખાલી થઈ ગયો હતો.
