મોરબી : મોરબીના બગથળા-કાંતિપૂરમાં વારંવાર પાવર કાપથી આસપાસના ઉધોગોને ભારે આર્થિક નુકશાની વેઠવી પડે છે. આથી જાગૃત સંસ્થાએ બગથળા-કાંતિપૂરમાં પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવાની ઊર્જા મંત્રીને રજુઆત કરી છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ ઊર્જામંત્રીને રજુઆત કરી છે કે, મોરબી જિલ્લામાં ટંકારા ડિવિઝન હેઠળ બગથળા-કાંતિપૂર ફીડર આવેલ છે. આ ફીડરમાં ઘણી નાની-નાની ફેક્ટરીઓ આવેલ છે. હાલમાં આ ફીડરમાં વારંવાર પાવર કાપ આવે છે. અવારનવાર લાઈટ જતી રહે છે. જેના કારણે આ નાની-નાની ફેક્ટરી માલિકોને પોતાનું ઉત્પાદન લેવામાં ખુબ જ તકલિફ પડે છે અને તેઓને પાવર કાપના કારણે મોટું નુકસાન જાય છે. તેથી આ ફીડરમાં વારંવાર લાઈટ જાવાના બનાવો બંધ થાય તેવું આયોજન કરવા લાગત વિભાગને આદેશ કરીને આ ફીડરમાં નિયમિત પાવર આવતો રહે તેવી કાર્યવાહી કરવાની માંગ કરી છે. નહિતર આ ફેક્ટરી ધારકોને પોતાનો બિઝનેસ બંધ કરવાની નોબત આવશે તેવી ભીતિ વ્યક્ત કરી છે.
