શરદ એમ.રાવલ.. હડિયાણા..



જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની હડીયાણા કન્યા શાળા ખાતે શ્રી રવેચી કૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આઝાદીકા અમૃત મહોત્સવ વર્ષની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ આરોગ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણને આઝાદી મળી તેને આ 75 મું વર્ષ ચાલી રહ્યું છે. આ વર્ષને વર્તમાન ભારત સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ તરીકે ઉજવવાનું નક્કી થયેલ છે. ભારતની આઝાદી અપાવવામાં અનેક ક્રાંતિકારીઓ, નેતાઓ, રાજાઓ,મહારાજાઓ અને આમજનતાનું બહુ મોટું યોગદાન રહેલું છે. આ વિષય પર શાળા ના સામાજિક વિજ્ઞાનના શિક્ષક સુરેશભાઈ મકવાણા દ્વારા બાળકોને ખૂબ વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. તેઓ જણાવ્યું હતું કે આઝાદી એ કોઇ સંજોગથી નથી મળી,પરંતુ કેટલાય વર્ષોની તપસ્યાનું પરિણામ છે. માટે આ મહામૂલી આઝાદીને આપણે સૌએ સાથે મળી અને જાળવવી જોઈએ. આ વ્યાખ્યાન બાદ હડીયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અભિષેક મોરીના માર્ગદર્શન હેઠળ FHW વર્ષાબેન પંડયા તથા પૂનમબેન અગ્રવાત દ્વારા શાળાની વિદ્યાર્થીની બહેનોને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં વર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી બાળકોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા ખાસ માસિક સમય દરમિયાન રાખવાની થતી વિશેષ સાવચેતીઓ અને ગેરમાન્યતાઓ અંગે ખૂબ જ વિસ્તારપૂર્વક બાળકોને સમજ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી અરવિંદ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રી રવેચી કૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાવડી દ્વારા વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો…..


