રાજકોટ, તા. 31 : મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ શ્રી આપાગીગાનો ઓટલો દ્વારા માનવ સમાજની સર્વ સમાજના લોકોના હિતાર્થે પોતાના પિતૃઓના મોક્ષાર્થે રાજકોટમાં ભકિતનગર સર્કલ પાસે, ધારેશ્વર મંદિરથી ભવ્યાતિભવ્ય દિવ્યાતિ દિવ્ય હજારોની સંખ્યામાં ભાઇઓ-બહેનો, માતાઓ, બાળકો, દિકરીઓ દ્વારા વિશાળ શોભાયાત્રામાં જોડાઇ કળશધારી દિકરીઓ દ્વારા ભાગવત ભગવાનની પોથીના સામૈયા કરવામાં આવ્યા. ત્યાંથી 80 ફુટનો રોડ, શેઠ હાઇસ્કુલના વિશાળ પરીસરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યુ છે ત્યાં દ્વારકાનગરી ખાતે રંગે ચંગે શોભાયાત્રા પહોંચેલ. શનિવાર, તા.29-10-2022થી શુક્રવાર તા. 4-11-2022 સુધીના સાત દિવસોમાં બપોરે 3 થી સાંજે 6.30 દરમ્યાન વ્યાસપીઠેથી વિદ્વાન વકતા પૂ. રામેશ્વરબાપુ હરીયાણી તેમની સંગીત મંડળીના કર્ણપ્રિય સથવારે શ્રીમદ ભાગવત કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે.
► રાજકોટના આંગણે સૌપ્રથમ વખત સર્વ પિતૃના મોક્ષાર્થે આયોજન : આજે સપ્તાહનો ત્રીજો દિવસ
શનિવારે કથાના મંગલાચરણમાં હરીયાણીબાપુએ આ કથાના આયોજક શ્રી નરેન્દ્રબાપુની સાધુતાની ભાવનાની પ્રશંસા કરતા કહ્યું કે આ કથાની ઉદેશ વિવિધ કોમ જાતિમાં વિભાજીત થયેલ દરેક સમાજને જોડવાનો છે. નરેન્દ્રબાપુએ શ્રી આપાગીગાના રોટલાની શરૂઆત શ્રી આપાગીગાના ઓટલા શ્રી પોતાના ગુરૂ શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુના સંપૂર્ણ આશિર્વાદથી શરૂ કરી અને ઓટલા તેમજ રોટલાની પરંપરાઓને અવિરતપણે આગળ વધારી રહ્યા છે. જે માનવ સમાજને એક છત્ર નીચે લાવવાની આ પરંપરાને તેમના બંને પુત્રો એટલે કે શ્રી અશોકભાઇ નરેન્દ્રભાઇ સોલંકી તેમજ શ્રી ભાગર્વભાઇ નરેન્દ્રભાઇ સોલંકી પણ આ સેવાકીય કાર્યોમાં સમર્પિત છે સરવાળે આ સર્વપિતૃઓની કથા છે. આજરોજ કથા પ્રારંભે ભવ્યાતિભવ્ય શ્રીમદ ભાગવતની પોથીયાત્રા યોજાઇ હતી
► શનિવારે ધારેશ્વર મંદિરેથી નીકળેલી પોથીયાત્રામાં મોટી સંખ્યામાં દિકરીઓ દ્વારા સામૈયા : મહાપ્રસાદ
જેમાં હજારોની સંખ્યામાં રાજકોટ શહેરની ધર્મપ્રીય જનતા અને ભાવિકજનો જોડાયા હતા. ભકિતનગર સર્કલ પાસે આવેલા શ્રી ધારેશ્વર મંદિરમાં સૌપ્રથમ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં પોથી યજમાન તરીકે નોંધાયેલા 351 જેટલા પરિવારોને શાસ્ત્રીજી દ્વારા પૂજનવિધી કરાયેલ ભાગવત પોથી શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) તથા કથાકાર શ્રી રામેશ્વરબાપુ હરીયાણી દ્વારા અર્પણ કરવામાં આવી હતી. સુશોભિત કરેલ બગીઓમાં કથાકાર અને પૂજય નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ બીરાજમાન થયા હતા. મોટી સંખ્યા દિકરીઓ દ્વારા વાજતે ગાજતે પોથીયાત્રાનું સામૈયુ કરવામાં આવ્યું હતુ:. એક કિલોમીટરના ભવ્ય રૂટમાં જયાં નજર નાખો ત્યાં ભાવિકજનોનો જાણે માનવ મહેરામણ ઉમટયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સંગીતની સુરાવલીઓ વચ્ચે ડી.જે.માં ભજન કિર્તનનો ભાવિકજનોએ આનંદ માણ્યો હતો. સર્વે સમાજના મોટી સંખ્યામાં ભાવિકો આ પોથી યાત્રામાં જોડાતા વાતાવરણ ધર્મસભર બની ગયું હતું. પોથીયાત્રા દરમ્યાન ઉપસ્થિત પોલીસના જવાનોએ ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી કરીને આ ધર્મકાર્યમાં સુંદર સહયોગ આપ્યો હતો.
► સર્વ સમાજને જોડતા અવસરમાં રાજકીય-સામાજીક આગેવાનોનો મેળાવડો : ભકિતની શકિતના પણ દર્શન
વિશ્વકર્મા સમાજ અને દરેક સમાજના મોટી સંખ્યામાં સામાજીક આગેવાનો પણ આ પોથીયાત્રામાં સામેલ થયા હતા. રાજકોટના ધાર્મિક ઇતિહાસમાં આ અદભુતપૂર્વ કહી શકાય તે પ્રકારની સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રી આપાગીગાના ઓટલા દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પોથી યાત્રા કથા સ્થળ શ્રી દ્વારીકાનગરી, 80 ફુટ રોડ, શેઠ હાઈસ્કુલ ખાતે વિરામ પામી હતી. વ્યાસપીઠેથી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરતા પૂ. રામેશ્વરબાપુએ કહ્યું કે, ભાગવતમાં 12 સ્કંધ છે, જે ભગવાન શ્રીકૃષ્ણના 12 સંગ છે. જેમાં 10 સ્કંધ પરમાત્માનું હૃદય છે. ભાગવત ગ્રંથમાં 335 અધ્યાય, 18 હજાર શ્લોક અને પાંચ લાખ 76 હજાર શબ્દો છે. પ્રથમ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન છે. શ્રી કૃષ્ણનું સચીદાનંદ સ્વરૂપ છે. વિશ્વ પરમાત્માનું આનંદ સ્વરૂપ છે. વ્યાસપીઠેથી બાપુએ હંમેશા મોજમાં રહેવાનો સંદેશ આપ્યો છે. શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રેમ સ્ત્રોત છે, પૈસો સાધન છે, પ્રેમ સાધ્ય છે, ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રસાદ છે.
► નરેન્દ્રબાપુના નેક પ્રયાસને વ્યાસપીઠથી બિરદાવાયો : પૂ.રામેશ્વરબાપુની સરળ વાણીથી શ્રોતાઓ અભિભૂત
શ્રીમદ ભાગવત સપ્તાહ ભગવાનશ્રી કૃષ્ણની દિવ્ય વાણીને, માનવતાનું દરેક પ્રશ્નોનું તેમાં સમાધાન છે. પ્રશ્ર્નાર્થનું નહીં, પૂર્ણ વિરામનું નામ ભાગવત છે. સંચયથી સમાધાન સુધીની યાત્રા છે, ભાગવત દેવોનો સહારો શ્રીકૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે. ભાગવત કથા દિવ્ય જીંદગીની ખોજ છે, આવા સત્સંગો માનવીની મહેરવાચાને પૂર્ણ કરે છે. પ્રવર્તમાન કલીકાળમાં માનવન મનને શુધ્ધ કરવાનું ભાગવત સિવાય કોઇ માધ્યમ નથી. ભાગવત જ્ઞાન આપીને ભગવાન શ્રીકૃષ્ણએ જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે. વિશ્વહીત માટે બાંધછોડ કરનાર શ્રીકૃષ્ણ ક્રાંતિકારી હતા.પ્રથમ દિવસ કથા રસપાનમાં કથાશ્રવણ માટે પધારેલા વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મુરલીભાઇ દવે (પૂર્વ કોર્પોરેટર), એડવોકેટ તુલસીભાઇ ગોંડલીયા, ગજેન્દ્રસિંહ ઝાલા, જગદીશભાઇ મિસ્ત્રી (વિશ્વકર્મા સમાજના આગેવાન) અમુભાઇ અને રાજુભાઇ વાઘેલા, પ્રકાશ સાપરીયા, નરસિંહભાઇ સવાણી વગેરે એ પોથી સપ્તાહમાં હાજરી આપી હતી. સર્વેનું પૂજય નરેન્દ્રબાપુના હસ્તે ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતુ. પ્રથમ દિવસે હજારોની સંખ્યામાં ભાવિકજનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
ભાગવત સપ્તાહમાં મોરબીના હતભાગીઓને શ્રધ્ધાંજલી
નરેન્દ્રબાપુ અને ભકતોએ મૌન પાળ્યું
રાજકોટ, તા. 31 : શેઠ હાઇસ્કુલના મેદાનમાં ચાલતી નરેન્દ્રભાઇ સોલંકી આયોજીત ભાગવત સપ્તાહમાં આજે સૌએ મળીને મોરબીની પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા હતભાગીઓને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. નરેન્દ્રબાપુ, વકતા રામેશ્વરબાપુ હરીયાણી અને મોટી સંખ્યામાં શ્રાવકોએ બે મીનીટનું મૌન પાળ્યું હતું. અકાળે મોતને ભેટેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને પરિવારો પર આવી પડેલી આફતમાં ભગવાન હિંમત આપે તેવી યાચના કરીને શોક વ્યકત કરવામાં આવ્યો હતો.
