
હવામાન ખાતાની ‘બિપરજોય વાવાઝોડા’ની આગાહીને અનુલક્ષીને તા.૧૨/૦૬/૨૦૨૩ થી ૧૬/૦૬/૨૦૨૩ના રોજ જિલ્લામાં અતિ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને વિનંતી સહ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.
આ માર્ગદર્શિકા અનુસાર ‘બિપરજોય વાવાઝોડા’થી થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો તથા ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વી. કે. ચૌહાણની યાદીમાં જણાવાયું છે.
