મોરબીમાં જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સફાઈ અભિયાનના ભાગરૂપે મોરબી શેહરની સ્વચ્છતા માટે પાંચ ટ્રેકટર ટ્રોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ મોરબીના નટરાજ ફાટક રેલવે ઓવરબ્રિજ માટે મંજૂર રકમ પૈકી ૩૫ કરોડનો ચેક અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રભારી તેમજ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ જણાવ્યું હતું કે, “મોરબી નગરની સ્વચ્છતા માટે આ ટ્રેક્ટર ટ્રોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મોરબીના નટરાજ ફાટક રેલવે ઓવરબ્રિજના ઓવરબ્રિજ માટે મંજૂર રકમ પૈકી માર્ગ અને મકાન વિભાગને ૩૫ કરોડનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો છે”.
મોરબીમાં સ્વચ્છતા વીરોને અભિનંદન સહ વંદન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “મોરબી ને સ્વચ્છ રાખવામાં આ લોકોનું ભગીરથ યોગદાન છે. હાલ મચ્છુ નદી સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ મચ્છુ નદીને સાફ કરવાનું કાર્ય નગરપાલિકાની સાથે લોક ભાગીદારીથી સામૂહિક પ્રયાસ થકી જ સફળ બનશે”.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “હું મોરબીનો પ્રભારી મંત્રી જ નહીં મોરબીનો પ્રભારી મિત્ર પણ છું. મોરબી જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં આદર્શ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકાસની કામગીરી તેજ ગતિથી ચાલી રહી છે. મોરબી હાલ ઉદ્યોગનું બેસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે ત્યારે મોરબીના વિકાસ માટે મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્ર સરકારના પરામર્શ સાથે અમે દિવસ રાત પ્રયત્નશીલ છીએ.
આ પ્રસંગે મંત્રીશ્રીએ શાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી સાથે મોરબી માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા, મોરબી નગરપાલિકાના વહીવટદાર તેમજ નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તેમજ હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય, અગ્રણી સર્વશ્રી રણછોડભાઈ દલવાડી, પ્રદીપભાઈ વાળા, કે.એસ. અમૃતિયા, જયુભા જાડેજા, જેઠાભાઈ મિયાત્રા, લાખાભાઈ ઝારીયા વગેરે સાથે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.