જીવનદર્શન…….
કરૂણા,દયા તેમજ મમતાની મૂર્તિ સમાન ડીસાનાં પ્રભાબેન અંબાલાલ ઠક્કરનું સ્વર્ગાગમન
આ જગતમાં મા નું મૂલ્ય કોઈપણ રીતે આંકી શકાય તેમ નથી.અમૂલ્ય કે મહામૂલી મા ની મમતા,દયા,કરૂણા,સ્નેહ,લાગણીનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે.19-6-1939 ના રોજ પિતા સરદારજી જીવાજી ઠકકર તેમજ માતા અંબાબેનના પરિવારમાં જન્મેલ પ્રભાબેન ઠકકરનું પિયર મોમવાડા(મુમ્બાડા) ગામ હતું.ડીસાના અંબાલાલ મોહનલાલ ઠકકર સાથે લગ્ન કરી ગૃહ જીવનમાં પ્રવેશ કર્યા બાદ માન,મર્યાદા,લાગણી,મમતાને સહારે સમગ્ર જીંદગી પસાર કરી તારીખ 6-3-2024 ના રોજ આ પરોપકારી જીવ શીવમાં ભળી ગયો.એક વટવૃક્ષ સમાન પરિવારની પ્રગતિ માટે તેમણે સમગ્ર જીવન સમજશકિત,સહનશકિત,સંઘર્ષશકિતના સહારે અંબાલાલભાઈની સંપૂર્ણ પડખે રહી આનંદપૂર્ણ પસાર કર્યું.તેમના પરિવારના દીકરાઓ અને પુત્રવધુઓ સર્વ પ્રહલાદભાઈ – શીલાબેન,ચંદુભાઈ – ગીતાબેન,રાજેશભાઈ – અલકાબેન,પ્રકાશભાઈ – સોનલબેન,સુરેશભાઈ – રેખાબેન,તેમજ દીકરીઓ-જમાઈઓ સર્વ ગીતાબેન – શીવલાલ,હંસાબેન – મધુલાલ,જીજ્ઞાબેન – પ્રવિણકુમાર,કલાબેન (અપરણિત),સોનલબેન – વસંતલાલ સહિત સમગ્ર પરિવાર સાથે સમતાભાવ કેળવી પ્રભાબેને આગવી ચાહના પ્રાપ્ત કરી હતી.અંબાલાલભાઈના ભાઈઓ દયારામભાઈ,કાંતિભાઈ,દામુભાઈ,પોપટભાઈ તેમજ બહેનો નર્મદાબેન,ચંદાબેન સહિત સમગ્ર આયા પરિવાર,મારવાડી લોહાણા સમાજ તેમજ સમસ્ત માનવ સમાજ સાથેનો પ્રભાબેનનો નાતો સેવાભાવનો જ રહ્યો હતો.આમ તો આ રાજસ્થાનનું બાલોત્રા પરિવાર કહેવાય પણ વર્ષો પહેલાં બાપદાદાએ ડીસામાં આવીને વસવાટ કર્યો.અંદાજે 60 વર્ષ પહેલાં ડીસામાં મારવાડી લોહાણા સમાજનાં માંડ દસેક ઘર હતાં તેવા સમયે આજુબાજુનાં રામસણ,વિઠોદર સહિત તમામ ગામોમાંથી આવતા સમાજના ભાઈઓ માટે અંબાલાલ તેમજ પ્રભાબેનની મહેમાનગતિ તેમજ આગતાસ્વાગતતાથી વિશેષ આનંદ થતો.મૂળ રામસણના મારા પરમ આદરણીય વડીલ સદગત રામપ્રસાદભાઈ ગોરધનજી ઠકકરે તો અંબાલાલભાઈને ત્યાં જ રહીને અભ્યાસ કર્યો હતો.અંબાલાલભાઈની ચા ની લારી અનેકજનો માટે વિસામાનું સ્થાન હતું.હાલ તો ડીસામાં મારવાડી લોહાણા સમાજનાં 400 થી વધારે પરિવારો વસવાટ કરે છે.પ્રભાબેનનું લગ્ન પછીનું શરૂઆતનું જીવન ખૂબ જ સંઘર્ષમ હતું.નાનીમોટી મજૂરી કે ગૃહ ઉધોગ કરી તેમણે જીવન પસાર કર્યું હતું.અંબાલાલભાઈને ચા ની લારી હતી છતાં એમનું જીવન ખુમારી અને ખુદદારીવાળું હતું.સમગ્ર પરિવાર ઘણું મોટું છતાં બધા જ નિયમિત પ્રભાબેનને ઘેર પગે લાગવા આવતા હતા.અંબાલાલભાઈ અને પ્રભાબેનનું ઘર એટલે જાણે કે પૂજ્ય જલારામ બાપા અને વીરબાઈ મા નું જ ઘર એમ સૌને રોટલો મળી રહે.એમના આંગણે આવેલ કોઈ મહેમાન,સંત કે આગંતુકને તેઓ જમ્યા સિવાય જવા ના દે.પરિવારમાં બાઈના હુલામણા નામે જાણીતાં પ્રભાબેન સાચા અર્થમાં સમગ્ર પરિવાર અને સમાજનાં હમદર્દ અને માર્ગદર્શક હતાં.તેઓ તેમના મક્કમ મનોબળના સહારે ઘણા લાંબા સમય સુધી સંઘર્ષ કરી અનેક મુશ્કેલીઓ સામે હસતા મોઢે ઝઝૂમ્યાં હતાં.સમગ્ર પરિવારને તેમણે ભકિત,સંસ્કાર,દયા,ઉદારતા,દાન અને મહેમાનગતિના પાઠ શીખવ્યા હતા.કુટુંબ,પરિવાર કે આડોશપાડોશની દરેક વ્યકિત પોતાની મુશ્કેલી કે દિલની વાત પ્રભાબા પાસે વિના સંકોચે કરી શકતી.
પૂજ્ય પ્રભાબાનો તૂંકારો પણ સૌને મીઠો લાગતો.પ્રભાબેન પોતાનું દુઃખ તો સહન કરતાં પરંતુ પરિવાર કે સમાજમાં કોઈ દુઃખી હોય તોપણ તેઓ દુઃખની લાગણી અનુભવતાં.પ્રભાબેનના પ્રત્યેક શબ્દને આજ્ઞા સમજીને પરિવારનો દરેક સભ્ય કામ કરતો હતો.ખૂબ જ લાગણીશીલ એવાં પ્રભાબા ભકિતની શકિતથી જ આગળ વધ્યાં હતાં.તેમની ભકિત,ઉદારતા,મહેમાનગતિ,પૂન્યકાર્યો,મક્કમ મનોબળથી જ સમગ્ર પરિવાર પ્રગતિ કરી શક્યો તેવું સૌ માને છે.માન,મર્યાદા,મોભો,મક્કમતાને વિશેષ મહત્વ આપનાર પ્રભાબેને પરિવારને સુખીસંપન્ન કરવા માટે પ્રચંડ પુરૂષાર્થ કર્યો હતો.પ્રભાબેનનાં પૂન્યકર્મો,ધર્મકાર્યો,સત્કાર્યોનું ફળ આજે તેમનો સમગ્ર પરિવાર ભોગવી રહ્યો છે.તેમના દીકરા-દીકરીઓનાં બાળકો પ્રત્યે પણ પ્રભાબેનને અપાર લાગણી હતી.
ખૂબ જ નિર્મળ,નિષ્ઠાવાન,નિખાલસ,નિયમિત,નિર્ણાયક,નમ્ર,વિવેકી,પરોપકારી,કર્મઠ,ધર્મપ્રેમી એવાં પ્રભાબેન ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવતાં હતાં.તેમણે જીવનમાં કેટલાક માઠા પ્રસંગો જોયા તેને લીધે બહારથી આનંદિત લાગતાં પ્રભાબેન અંદરથી કયારેક વ્યથિત દેખાતાં હતાં.પરિવારની ખુશી અને પ્રગતિ માટે તેમણે ત્યાગની ભાવના કેળવી તેમનું દુઃખ કયારેય કળવા દીધું નહોતું.જીંદગીની છેલ્લી ક્ષણ સુધી તેમનાં કાર્યો તેઓ જાતે જ કરતાં.તેમની તંદુરસ્તી ઘણી સારી હતી પણ છેલ્લે ટૂંકી બિમારી બાદ તેઓ પરમપિતા પરમાત્માની ગોદમાં સમાઈ ગયાં.સમગ્ર પરિવારની હાજરીમાં હસતા મોઢે તેઓ આ દુનિયામાંથી અલવિદા થયાં.પરિવારના દીકરાઓ,દીકરીઓ,ભાઈઓ,દિયરો કે અન્ય સભ્યો તેમને મળવા આવવામાં લેટ થતા તો તેઓ નારાજ થતાં અને તેમને લાગી આવતું.જોકે ભેગા થતાં જ ઠપકો આપી બધું ભૂલી જઈ મન ભરીને મીઠાશથી વાતો કરતાં.તેમનાં ધર્મકાર્યો,પૂન્યકર્મો,સત્કાર્યો,સેવાકાર્યો એજ તેમના મોક્ષની નિશાની છે.ચોક્કસ તેમનો સ્વર્ગમાં જ વાસ થયો હશે.
પ્રભાબાએ સિંચેલા સંસ્કારોને લીધે તેમના પરિવારના સભ્યો આજે પણ જીવદયા,સમાજકાર્યો કે સત્કાર્યો માટે પૈસા વાપરવા હંમેશાં તત્પર હોય છે.સારા કાર્યમાં પૈસા આપ્યા પછી પણ પરિવારનો કોઈ પણ સભ્ય નામ,માન,સન્માન કે સ્વાગત માટેની કયારેય અપેક્ષા નથી રાખતો એ બાબત ખૂબ જ પ્રેરણાદાયી છે.મારા પરમ મિત્ર તેમજ મારવાડી લોહાણા સમાજનું આગવું ગૌરવ કહી શકાય તેવા હારિજના પી.આઈ.ઠકકર મારફત કેટલીક માહિતી મળતાં પ્રભાબેનનું જીવનદર્શન લખતાં હું પણ આનંદની લાગણી અનુભવું છું.
આ પૃથ્વી ઉપર આવતા કેટલાક જીવો આનંદી,પરોપકારી,અલગારી જીંદગી જીવી સૌને રાજી રાખે છે અને પરમપિતા પરમાત્માનો પણ રાજીપો પ્રાપ્ત કરે છે.પ્રભાબેન પણ એમાંનાં જ એક હતાં.પૂજ્ય પ્રભાબેનના પૂન્યશાળી,ભાગ્યશાળી,પરોપકારી આત્માને કોટિ કોટિ વંદન સાથે ભાવપૂર્વક શ્રધ્ધાંજલી,પુષ્પાંજલી,આદરાંજલી…..
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
ડીસા-ગુજરાત
મોબાઇલ:9825638643