પેટાચૂંટણી પછી મધ્યપ્રદેશ સરકાર બદલાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. 2018ની પેટાચૂંટણીમાં બહુમતીનો આંકડો ન મેળવી શકનાર ભાજપ સરકાર હવે મધ્યપ્રદેશમાં હિન્દુત્વના મુદ્દા અંગે કડક વલણ અપનાવતી દેખાઈ રહી છે. પહેલા લવ-જેહાદ અને હવે ગૌ-કેબિનેટ જેવા ધાર્મિક મામલાઓ પર નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને મામલા સીધા જ હિન્દુ વોટ બેન્ક સાથે જોડાયેલા છે.
શિવરાજ સરકારના આ બદલાયેલા ચહેરા પર દૈનિક ભાસ્કરે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા સાથે વાતચીત કરી છે. ગૃહમંત્રી મિશ્રા સરકારનો હાર્ડકોર હિન્દુ ચહેરો પણ છે. લવ-જેહાદ પર કાયદો લાવવા પર તેમણે સ્પષ્ટ કર્યું કે વધતી ઘટનાઓને જોતાં અમારી પાસે એની વિરુદ્ધ કાયદો લાવવા સિવાયનો કોઈ વિકલ્પ રહેતો નથી. તેમની સાથે થયેલી વાતચીતનો સાર…
સવાલઃ પહેલાં લવ-જેહાદની વિરુદ્ધ કાયદો લાવવા અંગે કહ્યું હતું, પછી કહ્યું- જેહાદની વિરુદ્ધ છે. બે અલગ-અલગ વાતો શા માટે ?
ગૃહમંત્રીઃ જે લવ-જેહાદ તરફ લઈ જાય, એનો અમે વિરોધ કરીએ છીએ. આ વાત અમે કહી પણ રહ્યા છીએ.
સવાલઃ એટલે કે લવ શબ્દથી વાંધો નથી, માત્ર જેહાદનો વિરોધ છે ? ગૃહમંત્રીઃ લવથી શા માટે વાંધો હોઈ શકે છે ? લવ માતા પોતાના પુત્રને પણ કરે છે. ભાઈ-ભાઈને પણ કરે છે.
સવાલઃ સરકારની પાસે એવી કોઈ સ્ટડી કે સર્વે છે, જે જણાવે કે આ કાયદા સિવાય કોઈ રસ્તો બચતો નથી ?
ગૃહમંત્રીઃ જે રીતની ઘટનાઓ ઘટી રહી છે એમાં કાયદો લાવવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. જે પ્રકારની વિકૃત માનસિકતાના લોકો છે, ક્યાંક ગોળી મારી દે, એસિડ ફેંકવાની ધમકી આપે, મારપીટ કરે. નામ બદલીને રહે. હવે આ વાત તો યોગ્ય નથી. આ છેતરપિંડી છે.
સવાલઃ શું સતત કેસ વધી રહ્યા હતા ? આવા ક્યાં-ક્યાં અને કેટલા કેસ મધ્યપ્રદેશમાં થયા ?
ગૃહમંત્રીઃ તાજેતરમાં જ 21 તારીખે છિંદવાડામાં કેસ આવ્યો છે. એના પરથી લાગે છે કે કેસ સતત વધી રહ્યા છે.
સવાલઃ સ્વૈચ્છિક ધર્મ પરિવર્તન પહેલા કલેક્ટરને અનિવાર્ય માહિતી આપવાથી વ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું હનન તો થશે નહિને ?
ગૃહમંત્રીઃ કેવું હનન ? ધર્મ પરિવર્તન કરી રહ્યા છો તો અરજી કરવી જ જોઈએ. હવે ઘણા લોકો નામ બદલીને રહે છે. નામ બદલીને લવ કરે છે. તેની તપાસ થઈ જાય તો શું વાંધો છે ?
સવાલઃ મપ્રમાં ભાજપ સરકારનો ચહેરો બદલાયેલો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને હિન્દુત્વના મુદ્દા પર. એવું તો નથી ને કે 2018ની ચૂંટણીમાં મળેલી હાર પછી તમે હાર્ડકોર હિન્દુત્વને આગળ વધારી રહ્યા છો.
ગૃહમંત્રીઃ ચહેરો કઈ જ બદલાયો નથી. 15 વર્ષથી તમે જે દેખી રહ્યા છો એ જ ચહેરો છે.
સવાલઃ એક્સપર્ટ જણાવી રહ્યા છે કે કાયદામાં કોઈપણ જગ્યાએ લવ-જેહાદનો ઉલ્લેખ નહિ કરવામાં આવે. તમે વારંવાર લવ-જેહાદની વિરુદ્ધ કાયદો લાવવાની વાત કહી રહ્યા છો.
ગૃહમંત્રીઃ અમે ક્યારે ઉલ્લેખ કર્યો. અમે તો શરૂઆતથી કહી રહ્યા છે કે ધર્મ સ્વાતંત્ર્ય કાયદો લાવી રહ્યા છે.
સવાલઃ એની પાછળ ક્યાંક ભાજપનો હેતુ રાજકીય ફાયદો ઉઠાવવાનો તો નથી ને ?
ગૃહમંત્રીઃ અમે સમાજના ફાયદાની ચિંતા કરીએ છીએ. રાજકીય ફાયદાની ચિંતા કરતા નથી.
![]()


