
મોરબી, ૧૭ એપ્રિલ
અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનાર બાળકના ગુણોને પાયામાંથી શીખ આપવી. આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે. તેમાનો એક સંસ્કાર એટલે ‘ગર્ભ સંસ્કાર’. ત્યારે મોરબી જિલ્લાના હળવદ ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.સી. ભટ્ટના અધ્યક્ષસ્થાને ગત તા.૧૬/૦૪/૨૦૨૫ ના રોજ હળવદ ઘટક દ્વારા હળવદમાં વૈજનાથ મહાદેવ મંદીર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અનુસંધાને સર્વ ધર્મના ૪૦ સગર્ભા બહેનોને સંસ્કારી બાળક માટે ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા ગર્ભ સંસ્કાર વિધિ કરાવવામાં આવી હતી. ઉપરાંત સગર્ભા બહેનોને પોષણ માટે દાતાશ્રીઓ દ્વારા ખજૂર તથા લીલા નાળિયેરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી મયુરીબેન એચ.ઉપાધ્યાય, તાલુકા વિકાસ અધિકારીશ્રી પરેશભાઈ ગૌસ્વામી, ચેરમેનશ્રી મહિલા અને બાળ વિકાસના પ્રતિનિઘિશ્રી રવજીભાઇ પરમાર, ગુજરાત મહિલા ઉપાધ્યક્ષ ઉર્વશીબેન પંડયા, સુપરવાઈઝરશ્રી મમતાબેન રાવલ, પ્રોગ્રામના દાતા નિવૃત આંકડા મદદનીશશ્રી એ.એમ. સંઘાણી, પાટિયા ગ્રુપ હળવદ, વિદ્યાબેન બળવંતભાઈ જોશી, ડિસ્ટ્રિક્ટ બ્લોક કો.ઓર્ડીનેટર NNMશ્રી અશોકભાઈ તથા હળવદ આઈ.સી.ડી.એસ.ના સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

