
કોરોનાના સાજા થયેલા દર્દીઓમાં મ્યુકર માયકોસીસ બાદ હવે ગુલિયન બારી સિન્ડ્રોમ નામના રોગે દેખા દીધી છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવા દસ કેસ સામે આવ્યા છે, અમદાવાદ ઉપરાંત અન્ય જગ્યાએ પણ આ કેસ જોવા મળ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ જૂનો રોગ છે પણ કોરોનામાં સાજા થયેલા દર્દીઓમાં વકર્યો છે, આ રોગમાં હાથ પગે લકવો મારી જાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં અત્યારે દસ જેટલા દર્દી સારવાર લઈ રહ્યા છે, દર હજારે એકને આ રોગ થતો હોય છે, પણ કોરોનામાં સાજા થયેલા દર્દીઓમાં આ રોગ જોવા મળી રહ્યો છે. વાયરલ ઈન્ફેક્શન થાય તો તેના ૧૫-૨૦ દિવસ પછી પણ આ રોગ થતો હોય છે, આ નવો નહિ પણ જૂનો રોગ છે.
સિવિલ હોસ્પિટલના એક તબીબે જણાવ્યું કે, પોસ્ટ કોવિડ પછી અત્યારે ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ વકર્યો છે, કોરોના મટયા બાદ હાથપગમાં લકવો થાય છે, પગમાં નબળાઈ આવે છે, બાળકોમાં આ રોગ વિશેષ થતો હોય છે. આ જૂનો રોગ છે, આ રોગના કારણે આખા શરીરમાં ચેતાઓને અસર થતી હોય છે, જેના કારણે લકવો થતો હોય છે અને મગજ સુધી અસર થાય છે.
કોવિડમાં ઈમ્યુનિટી ઘટે છે, ટોસિલિઝૂમેબ અને રેમડેસિવીર ઈન્જેક્શનના કારણે ઈમ્યુનિટી ઘટે છે, આ કારણે જ કોવિડથી સાજા થયેલા દર્દીઓમાં આવા વધુ કેસ જોવા મળે છે. તબીબોના મતે બેથી છ અઠવાડિયામાં આ રોગ વધી જતો હોય છે.
સિવિલમાં મ્યુકર માયકોસિસ કુલ ૫૧ કેસ, દસનાં મોત
કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકર માયકોસિસની બીમારી થઈ રહી છે, બે મહિનામાં જ અમદાવાદ સિવિલમાં ૪૪ કેસ નોંધાયા હતા, જેમાંથી નવનાં મોત થયાં હતા. જોકે હવે આ કેસ વધીને ૫૧ થયા છે અને વધુ એક દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક ૧૦ પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં ૧૯ દર્દીઓને આંખે દેખાવાનું બંધ થયાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડા ડો.ઈલાબહેન ઉપાધ્યાયે સિવિલમાં આ પ્રકારના કેસો આવ્યાની વાત સ્વીકારી હતી.
