મોરબી જિલ્લામાં “કિસાન સુર્યોદય યોજના”નો શુભારંભ કરાવતા મંત્રી જયેશભાઇ રાદડિયા
સરકારે હંમેશા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને યોજનાઓનું અમલીકરણ કરીને ખેડૂતોને સકારાત્મક પરિણામો આપ્યા – મંત્રી જયેશભાઇ રાદડિયા
માળીયા તાલુકાના ૧૭ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વિજળી મળશે
રાજ્યના તમામ ખેડૂતોને ૨૦૨૨ સુધીમાં દિવસે વિજળી આપવાનું લક્ષ્ય
અન્ન-નાગરીક પુરવઠામંત્રી જયેશભાઇ રાદડીયાએ કિસાન સૂર્યોદય યોજના રાજ્યના ખેડૂતોના હિતોનું ધ્યાન રાખનારી યોજના છે એવો સ્પષ્ટ મત મોરબી જિલ્લાના માળીયા તાલુકાના સરવડ ગામેથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણનો પ્રારંભ કરાવતાં વ્યક્ત કર્યો હતો. મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ૧૭ ગામોના ખેડૂતોને દિવસે વીજળી આપતી મહત્વકાંક્ષી યોજના કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોને અર્પણ કરી હતી. મોરબી જિલ્લાના ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તે હેતુથી “કિસાન સુર્યોદય યોજના”નો પ્રારંભ કરતાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો, કુટીર ઉદ્યોગના મંત્રી જયેશભાઇ રાદડિયાએ માળીયા તાલુકાના ૧૭ ગામોને કિસાન સૂર્યોદય યોજનામાં સમાવી લેવા સાથે ર૦રરના અંત સુધીમાં રાજ્યના તમામ ગામોને યોજનાથી દિવસે વીજળી આપવા સાંકળી લેવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
આ પ્રસંગે મંત્રી જયેશભાઇ રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના હેઠળ ૩૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ વાળી આ યોજના થકી ખેડૂતોની વર્ષો જૂની માંગણી હતી તે સરકારે સંતોષી છે અને ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. મંત્રી જયેશભાઇ રાદડિયાએ વધુમાં જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની વિજળીની સમસ્યાને દુર કરવા સપનુ જોયુ હતું જે જયોતિગ્રામ યોજના થકી પોતાનુ સપનુ પુરુ કર્યુ હતું. તેમના હસ્તે જુનાગઢથી શરૂ થયેલ કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ તબક્કામાં કુલ ૧૦૫૫ ગામોમાં આ યોજનાની શરૂઆત કરી, બીજા તબક્કામાં ૨૦૦૦ થી વધુ ગામોના ખેડૂતોની માંગણી પુરી કરી રાજ્ય સરકાર આગળ વધી રહી છે. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીથી લઇને હાલના રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે અનેક પ્રયાસો હાથ ધરી ખેડૂતોની ચિંતા કરી છે. આ તકે મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ પ્રાસંગીક ઉદ્દબોધન કરતાં જણાવ્યુ હતુ કે આ યોજના થકી માળીયા તાલુકા તથા મોરબી જિલ્લાના ખેડુત ભાઇઓ માટે ખરેખર સોનાનો સુરજ ઉગ્યો છે. વધુમાં જણાવ્યું કે માળીયા તાલુકો ડાર્ક ઝોનમાં હતો ખેડૂતોને દિવસે વિજળી આપવાની પરિકલ્પના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર જ પૂર્ણ કરી શકે છે. આ પ્રસંગે સરવડ મુકામે યોજાયેલ સમારંભમાં મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મહામંત્રી જયરાજસિહ જાડેજા, અગ્રણી બાબુભાઇ હુંબલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ મણીભાઇ સરડવા, પૂર્વ માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ રાઠોડ સહિત ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.


previous post
