મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૧ અન્વયે ગુજરાતમાં તા.૨૮/૦૨/૨૧ ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઇ મોરબી જિલ્લામાં ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરતા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં અવ્યવસ્થા અને ઓવર ક્રાઉડીંગની પરિસ્થિતી ઉભી ન થાય તે માટે મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી. જોષીએ કોઇપણ સૂચિત ઉમેદવારને તેમના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ કે સમર્થકો સાથે ત્રણથી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારી/નિર્દિષ્ટ મદદનિશ ચૂંટણી અધિકારની કચેરીમાં પ્રવેશ ન કરવા જણાવેલ છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે કરવામાં આવેલ આ હુકમમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો રજૂ કરવા સમયે રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારો ઉમેદવારી પત્રો રજૂ કરવા માટે ચૂંટણી અધિકારી / નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અથવા તેના દરખાસ્ત કરનાર અને અન્ય બે મળી ત્રણ વ્યક્તિઓને જ પ્રવેશ કરી શકશે. માન્યતા પ્રાપ્ત સિવાયના પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારોના દરખાસ્ત કરનારાની સંખ્યા દસ હોય તેઓના કિસ્સામાં પણ પ્રથમ તબક્કે ઉમેદવાર અને અન્ય બે તેમજ જરૂર જણાય તો પ્રથમ ઉમેદવાર સાથે ગયેલા બે દરખાસ્ત કરનારા ચૂંટણી અધિકારીની કચેરીમાથી બહાર નીકળી જાય ત્યારબાદ બાકીના બે અને ત્યારબાદ અન્ય બે દરખાસ્ત કરનારાઓ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરવાનો રહેશે. એટલે કે કોઇપણ સુચિત ઉમેદવારે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ કે સમર્થક સાથે બે થી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારી/નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરવો નહીં.
