સાંસદ કોરોના સંક્રમિત થતા અમદાવાદની હોસ્પિટલમાં
ભાજપના સંગઠન મંત્રી ભીખુ દલસાણીયા પણ કોરોના સંક્રમિત
મોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રાજ્ય અને કેન્દ્રના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક બાદ એક નેતાઓ કોરોના સંક્રમિત થતા હડકંપ મચી ગયો છે. મુખ્યમંત્રી રૂપાણીની તબિયત બગડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલાઈઝ કરાયાં જ હતા ત્યાં તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાનું જાણવા મળ્યું હતું. એ પૂર્વે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા પણ કોરોના સંક્રમિત થતા તેઓને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના કાર્યાલયમાંથી મળતી માહિતી મુજબ વિનોદભાઈ ચાવડા કોરોના પોઝીટીવ આવ્યા છે. જેથી તેઓને સારવાર અર્થે અમદાવાદ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિનોદભાઈ ચાવડા કોરોના પોઝીટીવ આવતા કાર્યાલય સ્ટાફ, પરિવારજનો તેમના શુભેચ્છકોએ તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. સાંસદના સંપર્કમાં આવનાર તમામે શંકા જણાય તો કોરોના ટેસ્ટ કરાવવા અનુરોધ કરાયો છે. તો બીજી તરફ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મળેલી બેઠક બાદ સંગઠન મંત્રી ભીખુ દલસાણીયા પણ કોરોનાના ચેપનો ભોગ બન્યા છે ત્યારે આવનારા બે-ત્રણ દિવસોમાં હજુ વધુ નેતાઓ અને કાર્યકરો કોરોના સંક્રમિત બન્યા હોવાનું બહાર આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
