વરિષ્ઠ નાગરિક મંડળે વડાપ્રધાનને સંબોધી આવેદન પાઠવ્યું
મોરબી : ભારતીય રેલવેએ એક પરિપત્ર જાહેર કરીને રેલવે પ્રવાસમાં સ્પે ક્વોટામાં રહેલા સિનિયર સિટીજનો માટે 40 ટકા મુક્તિનો લાભ પાછો ખેંચી લેવાની જાહેરાત કરી હતી. ભારતીય રેલવેના આ નિર્ણય સામે મોરબીમાં સિનિયર સિટીજનોના સ્થાપિત હિતો માટે કામ કરતા વરિષ્ઠ નાગરિક મંડળે વિરોધ દર્શાવ્યો છે અને કાલે તમે પણ ઘરડા થશો! તેવો ટોણો મારી રેલવેમાં સિનિયર સિટીજનો માટે કન્સેશનની સુવિધા પૂર્વવર્ત કરવા માંગ સાથે મોરબીના વરિષ્ઠ નાગરિક મંડળે વડાપ્રધાન મોદીને સંબોધી આવેદનપત્ર પાઠવ્યું છે.
મોરબી વરિષ્ઠ નાગરિક મંડળે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ભારતીય રેલવેએ સિનિયર સિટીજનોને રેલવે મળતી સુવિધાને છીનવી લઈને હળાહળ અન્યાય કર્યો છે. ભારતીય રેલવે વૃદ્ધોની ધોર ઉપેક્ષા દાખવી કેટલો આર્થિક લાભ મેળવવા ઈચ્છે છે? તેવો વેધક સવાલ કર્યો હતો. જ્યારે એક બાજુ સરકારમાં રહેલા નેતાઓ પોતાના સરકારી કાર્યક્રમોમાં પોતાના પ્રવચનમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકોના સંરક્ષણ અને સંવર્ધનની બડાશો હકતા હોય છે. બીજી બાજુ એ સરકારના તંત્રવાહકો સિનિયર સિટીજનોના હક્ક ઉપર તરાપ મારતા જરાય હીંચકીચાટ અનુભવતા નથી. વધુમાં જણાવ્યું હતું કે, સર્વેક્ષણ ઉપરથી નક્કી થયું છે કે, ભારતીય સમાજ, પરિવારો વડીલો પ્રત્યે ભારે આદરભાવ અને સન્માન ધરાવે છે. પણ રેલવે તંત્ર વડીલો પ્રત્યેનો આદરભાવ ભૂલીને તેનો અનાદર કરીવ વૃદ્ધો પ્રત્યે તંત્રવાહકોને અણગમો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. જેમાં ભારતીય રેલવેએ આદર-સન્માનના પ્રતીક વડીલો માટે રેલવે પ્રવાસ ટિકિટમાં 40 ટકા મુક્તિનો લાભ પાછો ખેંચીને રેલવે પ્રવાસ કરતા વડીલોને હતોત્સાહિત કર્યા છે. આથી, રેલવે તંત્ર આ અન્યાયકર્તા નિર્ણયને રદ કરીને વડીલો માટે રેલવે પ્રવાસ ટિકિટમાં 40 ટકા મુક્તિનો લાભ ચાલુ રાખે તેવી માંગ કરી છે.
