ભારત સરકાર દ્રારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતે યુવા નેતૃત્વ તાલીમ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર પાલનપુર અધિકારી વૃષણ પાટીલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતે તારીખ 18 થી 20 જાન્યુઆરી દરમિયાન યુવા નેતૃત્વ સામાજિક વિકાસ શિબિર યોજવામાં આવી હતી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ડોક્ટર પ્રજાપતિ સિનિયર સાયન્ટિસ્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના વૈજ્ઞાનિકો તેમજ નશાબંધી આબકારી ખાતાના પ્રોગ્રામ ઓફિસર કે.આર.ગઢવી તેમજ રાકેશભાઈ પ્રજાપતિ, કેવી કેના વૈજ્ઞાનિક ડોક્ટર પવાર ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત ડીસાના જાણીતા સાહિત્યકાર અને નિવૃત ફોરેસ્ટ ઓફિસર ભગવાનભાઈ બંધુ, જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય તેમજ નિવૃત્ત શિક્ષક-સાધક નાથાભાઈ ખત્રીએ ખાસ હાજર રહી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી પ્રોત્સાહન આપ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમમાં યુવાનોમાં પડેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી ગ્રામીણ વિસ્તારની સમસ્યાઓ સામે ઝઝૂમી યુવાનો ઉજ્જવલ ભવિષ્ય તરફ આગળ વધે અને જીવન જીવવાની સાચી કળા શીખે તે માટે તમામ વકતાઓએ માર્ગદર્શન આપ્યું હતું. પર્સનાલ્ટી ડેવલપમેન્ટ, વ્યસન મુક્તિ,સામાજિક કુરિવાજોની નાબૂદી, બેટી બચાવો બેટી પઢાવો, યુવા નેતૃત્વ,ભારતનું આદર્શ ગામ સ્વચ્છ ગામ અને સ્વામી વિવેકાનંદને યુવાનો રોલ મોડલ બનાવે એવા વિવિધ વિષયો ઉપર વિસ્તૃત માહિતી,માર્ગદર્શન અને સાહિત્ય આપી કાર્યક્રમને રસસભર બનાવવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેહરુ યુવા કેન્દ્ર પાલનપુરના માસ્ટર ટ્રેનર્સ અમિતચંદ્ર શ્રીમાળી, ટ્રેનિંગ ઓફિસર રમેશભાઈ પલાણી તેમજ ડીસાના રાષ્ટ્રીય યુવા વાહીની કાર્યકર વિશાલભાઈ જોશીએ કર્યું હતું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.
