
સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓના જાણકાર બને તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. આ તકે ગ્રામજનોએ અનેરા ઉત્સાહ સાથે રથનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે નાના ખીજડીયા ગામે આવેલા રથમાં ગ્રામજનો અને ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો પ્રજાજોગ સંદેશો સાંભળી ફિલ્મનું પ્રદર્શન નિહાળ્યું હતું અને વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદહસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિઘ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાઓના લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન બાળકોએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે તેવા સંદેશાઓ આપતું ‘ધરતી કહે પુકાર કે….’ નાટક રજુ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા તથા આરોગ્ય વિભાગ, આઈસીડીએસ, બેંક સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ અને નાના ખીજડીયાના ગ્રામજનો જોડાયા હતા.
