
પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે મોરબીમાં સરપંચ સંવાદ કાર્યક્રમને સંબોધ્યો : સરપંચોની સાથે પ્રદેશ સંગઠન હોદ્દેદારો, જિલ્લાના સ્થાનીય નેતા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
મોરબી : સરપંચ સંવાદ કાર્યક્રમ હેઠળ ભાજપ પ્રદેશ અદયક્ષ સી. આર. પાટીલે આજે ગુરુવારે બપોર બાદ ટંકારાની લજ્જાઈ ચોકડીએ ઉપસ્થિત વિશાળ જન સમુદાયને સંબોધન કર્યું હતું. આ તકે મહામંત્રી વિનોદ ચાવડા, સંગઠનના પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, રાઘવજીભાઈ ગડારા, મહામંત્રી જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જેન્તીભાઈ કવાડિયા સહિત બહોળી સંખ્યામાં સરપંચો ઉપસ્થીત રહ્યા હતા.
ઉપસ્થિત સરપંચો અને કાર્યકર્તાઓ વચ્ચે સી.આર. પાટીલની 182 સાકરના પેકેટથી તુલા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની 182 બેઠકો હોય 182 સાકરના પેકેટની પ્રતીકાત્મકતા સાથે આ સાકર તુલા કરવામાં આવી હતી. આ દરમ્યાન પાટીલે ઉપસ્થિત જનસમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં સરપંચોની મહ્ત્વતા વધી છે. અગાઉના સમયની તુલના કરતા પાટીલે કહ્યું હતું કે, કોંગ્રેસના રાજમાં તલાટી-મંત્રીઓની બેગો ઉપાડીને જવા પૂરતું જ સરપંચોનું મહત્વ હતું. જ્યારે હાલમાં કોઈપણ સાંસદ કે ધારાસભ્ય પણ ગામમાં આવે તો સરપંચને મળવું જરૂરી બની ગયું છે; એ સરપંચોની વધેલી મહત્તા દર્શાવે છે.
મોદી સરકારે બનાવેલી 375 જેટલી મહત્વકાંક્ષી યોજના સરપંચો હસ્તક છેવાડાના ગ્રામીણો સુધી પહોંચે એવી વ્યવસ્થા સરકારે ઉભી કરી છે, જેની જવાબદારી સરપંચો સુપેરે નિભાવે એવી ટકોર પણ પાટીલે કરી હતી. પેજ કમિટી પાર્ટીની તાકાત છે એમ જણાવી તેનો વ્યાપક ઉપયોગ કરવાનું પાટીલે આહવાન કર્યું હતું. આ તકે પેજ કમિટી બનાવનાર તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં 21 લાખ રૂપિયાનું દાન દેનાર અજય લોરીયાને પણ સી.આર. પાટીલ દ્વારા સન્માનીત કરાયા હતા.
એક વ્યક્તિ એક હોદ્દોની યાદ અપાવતા પાટીલે ચોખવટ કરી હતી કે, સંગઠનના હોદ્દેદારોએ પણ અન્ય હોદ્દાની કે ટીકીટની અપેક્ષા ન રાખવી. હાલ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની સેન્સ લેવાઈ ચુકી છે ત્યારે પાટીલના આ નિવેદનને સૂચક માનવામાં આવે છે.
તાજેતરમાં ગયેલી પેટા ચૂંટણીને પાટીલે ત્રિમાસિક પરીક્ષા, હાલ આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને છ માસિક પરીક્ષા, વિધાનસભાની ચૂંટણીને નવ માસિક પરીક્ષા અને લોકસભાની ચૂંટણીને વાર્ષિક પરીક્ષા હોવાનું જણાવી પાટીલે ઉમેર્યું હતું કે, ત્રિમાસિક પરીક્ષામાં જેમ સોમાંથી સો માર્ક અપાવ્યા હતા એમ છ માસિક પરીક્ષા એટલેકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઉચ્ચગુણે પાસ કરાવવા ઉપસ્થિત કાર્યકરોને ઉત્સાહ વધારતા જણાવ્યું હતું.
મોરબીને મીની ચાઈના જણાવતા પાટીલે અંતમાં જણાવ્યું હતું કે, ભારતભરમાંથી ચાઈનાને હંફાવવાની તાકાત મોરબીમાં છે આથી મોરબીના ઉધોગ સાહસિકો પ્રસંશાને પાત્ર છે.
