
રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેઇના જન્મદિવસ નિમિત્તે ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુશાસન સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મોરબી ખાતે ગુડ ગવર્નન્સ અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ આયોજીત સુશાસન સપ્તાહ ઉજવણી કાર્યક્રમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ કાર્યક્રમ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે શહેરી વિસ્તારમાં દરેક નાગરિકને રસ્તા, પાણી, આરોગ્ય, વીજળી, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર ચિંતિત છે. રાજય સરકારે છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી રાજ્યના સર્વાંગી વિકાસની ગતિને અવિરત ચાલુ રાખી છે તેમ વધુમાં ઉમેર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં રાજયમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને પ્રમાણપત્ર, એન.યુ.એલ.એમ. યોજનાના લાભાર્થીઓને બેંક લોનના મંજૂરીપત્ર અને શહેરી શેરી ફેરીયાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમ પ્રસંગે સુરત ખાતે યોજાયેલ રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવેલ હતું. ચીફ ઓફિસર શ્રી ગીરીશભાઇ સરૈયાએ સ્વાગત તેમજ રાજકોટ પ્રાદેશિક કમિશનર શ્રી ધીમંત વ્યાસે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી જે. બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.જે.ભગદેવ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ કુસુમબેન પરમાર, નગર પાલિકા ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા, નગરપાલિકાના કારોબારી ચેરમેનશ્રીઓ, સદસ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ, વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા
