
રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ માળીયા(મિં) ખાતે ૩૩૨ લાખના ખર્ચે નિર્માણ પામનાર તાલુકા પંચાયત ભવનનું વિધિવત ખાતમુહુર્ત કર્યું હતું.
સામાન્ય તાલુકા પંચાયત કરતા માળીયા તાલુકા પંચાયત માટે સવાઈ રકમ મંજૂર કરવામાં આવી છે તેમ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ પંચાયત સ્વતંત્ર હવાલો ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ હર્ષભેર જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તાર એવા માળિયા તાલુકામાં વિકાસ બુલેટ ગતિથી થઈ રહ્યો છે. તમામ ગામડાઓમાં પ્રાથમિક જરૂરિયાતો ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે અને હજી ખૂટતી કડીઓ પુરાવા સરકાર કટિબદ્ધ છે.સરકારના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ માળીયા તાલુકા માટે સિંચાઈ સુવિધા માટે ૧૬૨ કરોડ તથા રસ્તાઓ માટે ૧૭૦ કરોડથી વધુ રકમ મંજૂર કરવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ તકે સહકારી અગ્રણીશ્રી મગનભાઈ વડાવિયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.એ. કોંઢિયાએ કર્યું હતું.
આ માળીયા તાલુકા પંચાયત ભવનનું ૫૮૮.૦૬ ચો.મી. વિસ્તારમાં બાંધકામ કરવામાં આવશે. વાહન પાર્કિંગ થી લઈને ફર્નિચર જેવી અન્ય અદ્યતન સુવિધાઓ સાથે તાલુકા પંચાયત કચેરીનું બાંધકામ કરવામાં આવનાર છે.
આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી અજયભાઈ લોરિયા, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) ના કાર્યપાલ ઈજનેરશ્રી એ.એન.ચૌધરી, માળીયા તાલુકાપંચાયત પ્રમુખશ્રી રમેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખશ્રી સવજીભાઈ કરોરિયા, કારોબારી સમિતિના ચેરમેનશ્રી નિર્મળસિંહ જાડેજા, અગ્રણી સર્વેશ્રી જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ, જ્યોતિસિંહ જાડેજા, મણીલાલ સરડવા, સુભાષભાઈ પડસુંબિયા સહિત માળિયા તાલુકાના પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
