
મોરબીમાં ૩૬૮ શાળાના વર્ગખંડોમાં જ્ઞાનકુંજ પ્રોજેકટ થકી અભ્યાસમાં બાળકો વધુ રસ લેતા થયા
ડિજીટલ શિક્ષણથી બાળકો શિક્ષકો સાથે અને આંતરિક પણ વધુ સારી રીતે પ્રતિભા વ્યક્ત કરતાં થયા
સાફલ્ય ગાથા
માહિતી બ્યુરો, મોરબી
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની શાળાઓમાં લેપટોપ, ઇન્ટરેકટીવ પેનલ અને સંલગ્ન સોફ્ટવેરના ઉપયોગથી ઈન્ટરેક્ટીવ વર્ગખંડ શિક્ષણ પધ્ધતિથી શિક્ષણ આપવા માટે જ્ઞાનકુંજ પ્રોજેકટ અમલી કરેલો છે. જેમાં મોરબી જિલ્લાની ૩૬૮ શાળાઓમાં તેનું અમલીકરણ કરવામાં આવ્યું છે. ડિજીટલ શિક્ષણ થકી અભ્યાસમાં બાળકોની રૂચિમાં વધારો થયો છે.
ડિજીટલ શિક્ષણક્ષેત્રે ગુજરાત રાજયની કામગીરીને વેગ આપવા માટે જ્ઞાનકુંજ પ્રોજેકટ મોડેલ અમલી બનાવવામાં આવ્યું છે. જે ટેકનોલોજીના વિવિધ સાધનો જેવા કે લેપટોપ, ઇન્ટરેકટીવ પેનલ અને સંલગ્ન સોફટવેરની મદદથી શીખવા શીખવવાની પ્રક્રિયા અને વર્ગખંડ ઇન્ટરેકટીવ અભિવૃધ્ધિ કરવા માટેનો એક ડિજીટલ શિક્ષણ કાર્યક્રમ છે. જે હેઠળ વર્ગખંડમાં જ શીખવા શીખવવાની પ્રક્રિયા અને મૂલ્યાંકનને વધુ સુદ્રઢ બનાવવાનું આયોજન છે.
જો તાલુકાવાર જોઇએ તો, મોરબી તાલુકામાં ૯૭, માળિયા તાલુકામાં ૩૪, ટંકારા તાલુકામાં ૩૨, વાંકાનેર તાલુકામાં ૧૦૮ અને હળવદ તાલુકામાં ૯૭ શાળાઓ એમ કુલ ૩૬૮ શાળાઓનો જ્ઞાનકુંજ પ્રોજેકટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
