
ગાંધીનગરથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી ગુજરાતનાં ચીફ સેક્રેટરીશ્રી રાજકુમારના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં મોરબી જિલ્લા કલેકટરશ્રી જી. ટી. પંડયાએ બિપરજોય વાવાઝોડાને કારણે મોરબી જિલ્લામાં ઉદ્ભવેલી પરિસ્થિતીથી અવગત કરતાં જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં ૫૦૦૦ લોકોને આશ્રયસ્થાનમાં રાખવામાં આવ્યા છે. મોરબીના નવલખી પોર્ટ પર પણ કોઈ મોટી નુકશાની થયેલ નથી. ૨૫ થી ૩૦ વૃક્ષો ધરાશાયી થઈ ગયાના અહેવાલ મળી રહ્યા છે, જે આજે બપોર સુધીમાં કામગીરી કરી ક્લીયર કરાવવામાં આવશે.
કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજ સવાર થી મોરબી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે .અને જિલ્લા વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. મુખ્ય સચિવશ્રી રાજકુમારે કલેક્ટરશ્રીને જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આશ્રિત લોકોને આશ્રય સ્થાન પર જ રાખવા જણાવ્યું હતું.
ગાંધીનગરથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર થી યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં મોરબી સાથે કચ્છ, જામનગર, દેવભૂમી દ્વારકા, પોરબંદર ,રાજકોટ, જૂનાગઢ તેમજ અન્ય જિલ્લાઓ જોડાયા હતા.
મોરબીથી આ વિડીયો કોન્ફરન્સમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ મોરબી પ્રભારી સચિવશ્રી મનિષા ચંદ્રા, કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યા, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે.મુછાર, જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી.જાડેજા, પીજીવીસીએલ અધિકારીશ્રી પી.પી.બાવરવા ઉપસ્થિત રહ્યા હતા.



