
વિકસિત ભારતના સંકલ્પની સાથે સરકારશ્રીની વિવિઘ જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય બાલ સુરક્ષા કાર્યક્રમ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહાનુભાવો હસ્તે રાણેકપર ગ્રામ પંચાયતમાં ઓ.ડી.એફ ફ્રી તથા સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચશ્રીને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે લીડ બેંક હેઠળની વિવિધ યોજનાઓ, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના તથા કિશાન ક્રેડિટ સહિતની યોજનાઓની ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળ્યો હતો. ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ પણ સૌએ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ ઉપરાંત ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રાણેકપર ગામના સરપંચશ્રી હુશેનભાઈ શેરશીયા, અગ્રણીશ્રી જ્યોત્સનાબેન જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, આરોગ્ય વિભાગ, આઈસીડીએસ, પશુપાલન, બેંક સહિત વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તથા રાણેકપર શાળાના શિક્ષકશ્રીઓ, સ્ટાફ તેમજ ગ્રામજનો જોડાયા હતા.



