કોરોના વેક્સિન મેનેજમેન્ટ અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
સાથે આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓની બેઠક યોજાઈ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીઃ
• કેન્દ્ર સરકાર કોરોના વેક્સિન માટે પોર્ટલ બનાવશે
• ચૂંટણી બુથની જેમ વેક્સિન પૂરી પાડવા માટે બુથ ઊભા કરી વ્યવસ્થા ગોઠવાશે
• ચાર અલગ-અલગ તબક્કા પ્રમાણે વેક્સિન પહોંચાડાશે
——-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓની વેક્સિન મેનેજમેન્ટ અંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ બેઠક બાદ જણાવ્યું હતું કે, આઠ રાજ્યોમાંથી સૌથી ઓછા એક્ટીવ કેસ ગુજરાતમાં છે. ગુજરાતમાં સંક્રમણ વધ્યું છે તે સ્વીકારીને તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાતની પરિસ્થિતિ નિયંત્રણમાં છે ગભરાવાની જરૂર નથી. સંક્રમણ થયેલ વ્યક્તિઓને સાજા કરવાની જવાબદારી સરકારની છે. ભારત સરકારનું માર્ગદર્શન સતત પ્રાપ્ત થઈ રહ્યું છે.
વેક્સિન મેનેજમેન્ટ અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ભારતમાં પાંચ કંપનીઓ વેક્સિન બનાવી રહી છે. ખૂબ ઝડપથી વેક્સિન લોકોને પ્રાપ્ત થશે. વેક્સિન માટે કેન્દ્ર સરકાર એક પોર્ટલ બનાવવા જઈ રહી છે. જેથી સંપૂર્ણ પારદર્શક રીતે વિતરણ વ્યવસ્થા કરી શકાય. જેમાં સૌ પ્રથમ ફ્રન્ટલાઈન હેલ્થ કર્મીઓને વેક્સિન આપવામાં આવશે. ત્યાર બાદ બીજા તબક્કામાં કોરોનાની કામગીરી સાથે જોડાયેલા વિવિધ સરકારી કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓને વેક્સિન અપાશે. ત્રીજા તબક્કામાં ૫૦ વર્ષથી વધુ ઉંમરનાને વેક્સિન અપાશે. જ્યારે ચોથા તબક્કામાં ૫૦ વર્ષથી નીચેના કો-મોર્બિડ એટલે કે કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવા ગંભીર રોગ ધરાવતા લોકોને વેક્સિન અપાશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વેક્સિન મેનેજમેન્ટ માટે મુખ્ય સચિવશ્રી તથા આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રીની અધ્યક્ષતામાં બે કમિટી બનાવવામાં આવશે.
પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનથી કોરોના પર નિયંત્રણ મેળવવા ગુજરાત સહિત સમગ્ર દેશ સફળ થશે તેમ મુખ્યમંત્રીશ્રીએ દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
