ચામુંડા માતાજી મંદિર બાલંભા ખાતે યોજાયો માતાપિતા પૂજન કાર્યક્રમ (*લલીત નિમાવત દ્વારા*)
– આસપાસનાં પ ગામની શાળાનાં ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ માતાપિતા પૂજનનો લ્હાવો લીધો.
– ઉપસ્થિત તમામ વિધાર્થીઓ અને ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો.
– જોડીયા વિસ્તારમાં સૌ પ્રથમવાર આવા નવતર આયોજનથી સ્થાનિકોમા હરખનું વાતાવરણ.
આજના મોબાઈલ અને કોમ્પ્યુટર યુગમાં વ્યક્તિ એકાકી બનતો જાય છે અને પોતાના પરિવારથી દૂર થતો જાય છે. આજે સમાજમાંથી “માતૃદેવો ભવ-પિતૃદેવો ભવ’ જેવા દિવ્ય સંસ્કારોનો લોપ થતો જાય છે ત્યારે આજના બાળકો અને યુવાનોમાં પોતાના પરિવાર અને માતા-પિતા તેમજ વડીલો પ્રત્યે પુનઃ આદરભાવ જાગૃત થાય તે માટે “માતા-પિતા પૂજન” નો એક સુંદર કાર્યક્રમનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવેલ.
શ્રી ચામુંડા માતાજી મંદિર, શાંતિનગર, બાલંભા ખાતે આજરોજ યોજાયેલ આ કાર્યક્રમમાં દરેક ધર્મના યુવાનો અને વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા પોતપોતાના માતા-પિતાનું શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું.
ભાવિ પેઢીમાં ભારતીય સંસ્કૃતિમાં વર્ણિત માતા-પિતાનું મહત્વ અને તેમના પ્રત્યે આદર રાખવા અંગેના સંસ્કાર દ્રઢ થાય તે માટે યોજાયેલ આ કાર્યક્રમમાં ભાગ લઈને વિધાર્થીઓ, શિક્ષકો તેમજ ભક્તોએ રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ માતાપિતા પૂજન કાર્યક્રમ માટે જરૂરી પૂજાસામગ્રી મંદિર તરફથી નિઃશુલ્ક ધોરણે પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમને અંતે ઉપસ્થિત તમામ લોકો માટે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટના સંચાલકો અને રાજકોટ, જામનગર, મોરબી વગેરે સહિતના ગામોથી આવેલા સેવાભાવી ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.


