8થી 16 જાન્યુઆરી દરમ્યાન માળીયા, ટંકારા, વાંકાનેર અને મોરબી તાલુકામાં યોજનાનું લોકાર્પણ કરાશે: 89 ગામના 7235 ખેડૂતો હવે દિવસે પણ મળી રહેશે વીજળી:
મોરબી: રાજ્ય સરકારની ખેડૂતલક્ષી મહત્વની એવી ‘કિશાન સૂર્યોદય યોજના’નો મોરબી જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આવનારી 8 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી દરમ્યાન જિલ્લાના 4 તાલુકાઓમાં આ યોજનાનું વિધિવત લોકાર્પણ યોજવામાં આવ્યું છે.
રાજ્ય સરકારની મહત્વકાંક્ષી એવી કિશાન સૂર્યોદય યોજનાનો મોરબી જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે જ મોરબી જિલ્લામાં પણ ખેડૂતલક્ષી આ યોજના લાગુ કરી દેવામાં આવી છે. જો કે આ યોજનાનો વિધિવત લોકાર્પણ કાર્યક્રમ આગામી દિવસોમાં થવા જઈ રહ્યો છે. જે મુજબ તારીખ 8 જાન્યુઆરીના દિવસે માળીયાના સરવડ ખાતે મંત્રી જયેશ રાદડિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
જ્યારે 10 જાન્યુઆરીએ ટંકારા સ્થિત પ્રભુચરણ આશ્રમ ખાતે મંત્રી કુંવરજીભાઇ બાવળિયા તથા સાંસદ મોહનભાઇ કુંડારીયાની ઉપસ્થિતિમાં, 15 જાન્યુઆરીએ વાંકાનેરના વિડી જાંબુડિયા ખાતે મંત્રી વાસણભાઇ આહીર તથા સાંસદ મોહનભાઇ કુંડારીયાની ઉપસ્થિતિમાં અને તારીખ 16 જાન્યુઆરીએ મોરબીના ઘૂંટુમાં મંત્રી સૌરભભાઈ પટેલ અને સાંસદ મોહનભાઇ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા તથા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં ઉક્ત યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. ઉક્ત નેતાગણની સાથે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિત જિલ્લાના સર્વે હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાંસદ મોહનભાઇ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, પરસોત્તમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ તથા તાલુકા ભાજપ સંગઠનની ટીમ દ્વારા જિલ્લાના પ્રભારી મંત્રી તથા ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલને રૂબરૂ રજુઆત કરતા મોરબી જિલ્લાના 50 ફિડરમાંથી 89 ગામના કુલ 7235 ખેડૂતોને લાભ મળી રહે એ માટે પ્રાથમિક તબક્કે કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
