મોરબી : આજે સોમવારે ખુલતી બજારે જ મોરબી શહેરમાં ટ્રાફિકજામ સર્જાતા વેપારીઓ, ધંધાર્થીઓ તેમજ રાહદારી અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આજે સોમવારે સવારથી જ મોરબીના નહેરુગેટ ચોકથી ત્રિકોણબાગ નજીક આવેલી એસબીએસ બેંકથી ગાંધી ચોક સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. છેલ્લા ત્રણ-ચાર દિવસોથી આ માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાવાનું શરૂ થયું છે. કારણ કે નવાડેલા માર્ગ પર રોડનું કાર્ય ચાલી રહ્યું હોવાથી નહેરુગેટ ચોકથી ત્રિકોણબાગ સુધીના વન-વે રોડને હાલ પૂરતો ટુ-વે કરાતાં આ સમસ્યા સર્જાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
તંત્ર દ્વારા જ્યારે વન-વે રોડને હંગામી ધોરણે ટુ-વે જાહેર કરાયો ત્યારે જ ટ્રાફિકજામ સર્જાવવાની દહેશત હોવા છતાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવી હોવાથી હાલ નાગરિકોએ અગવડતા વેઠવાનો સમય આવ્યો છે. આ ઉપરાંત અમુક અણધડ વાહનચાલકો લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા હોય આ માર્ગ પર તાત્કાલિક વધુ ટ્રાફિક પોલીસની તૈનાતી કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
