
બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખૂબ જ પ્રગતિશીલ એવા થરાદ (થીરપુર) મહાનગરમાં અંદાજે 25 જેટલાં રઘુવંશી લોહાણા પરિવારો વસવાટ કરેછે. “જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો” એવા પૂજ્ય જલારામ બાપાના માનવતાવાદી સિધ્ધાંતને ધ્યાનમાં રાખી થરાદમાં આ લોહાણા પરિવારોએ 2011માં પીવાના પાણી માટે જલારામ પરબ શરૂ કરી હતી.છેલ્લા દોઢ વર્ષથી આ જગ્યાએ જ જલારામ ખીચડી ઘર શરૂ કરવામાં આવેલ છે.માત્ર પાંચ રૂપિયામાં જ ભરપેટ ખીચડી-કઢીનો પ્રસાદ મળતો હોઈ રોજ 600 માણસો લાભ લે છે.નિરાધાર,ગરીબ,અપંગ,બિનવારસી એવા 100 જેટલા માણસોને રોજ વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપવામાં આવે છે.
તાજેતરમાં આ જલારામ ખીચડી ઘરની મુલાકાત લઇ ડીસાના જલારામ ભકતો સર્વ યશવંતશાસ્ત્રીજી મહારાજ, ભગવાનભાઈ બંધુ,મહેશભાઈ ઉડેચા,મમતાબેન રાજપૂત, રમેશભાઈ જોષી સહિત સૌએ આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.જલારામ ખીચડી ઘર થરાદ માટે અનેક જલારામ ભકતોનો તન-મન-ધનથી સહકાર મળે છે તે અંગે વિગતે વાત કરી સ્થળ પર ઉપસ્થિત દશરથભાઈ ડી.ઠકકર અને વિનોદભાઈ એસ.મજેઠીયાએ સૌને મીઠો આવકાર આપી સંસ્થા વિષે ઉંડાણપૂર્વક માહિતી આપી હતી.થરાદ જેવા વિકાસશીલ નગર અને બસ સ્ટેશન જેવા ભરચક વિસ્તારમાં જલારામ ખીચડી ઘરના માધ્યમથી અનેક જરૂરિયાતમંદ વ્યકિતઓને ભોજન હેતુ માત્ર પાંચ રૂપિયામાં ખૂબ જ મોટી રાહત મળી રહે છે જે સેવાભાવી સંસ્થાઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી બાબત છે.
