
બનાસકાંઠા વન વિભાગ દ્રારા આંતરરાષ્ટ્રીય વરૂ દિવસ નિમિતે ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલ નડાબેટના ઓડિટોરિયમ હોલમાં વરૂના રક્ષણ માટે પૂરતી જાણકારી આપવા નાયબ વન સંરક્ષક પી.જી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને સેમિનારનું આયોજન કરાયું હતું.
આ સેમિનારમાં વરૂ વિષેની માહિતીના એક્સપર્ટ પૂનાના મિહિર ગોડબોલે,સુરેન્દ્રનગરના યોગેન્દ્ર શાહ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના ભાવિક વાકાણીએ ખાસ ઉપસ્થિત રહી પોતપોતાનાં પ્રેઝન્ટેશન તેમજ વક્તવ્ય થકી માર્ગદર્શન આપ્યું હતું.વન વિભાગમાં સરાહનીય કામગીરી કરનાર સાત જેટલા કર્મચારીઓનું પ્રશસ્તિપત્ર દ્રારા સન્માન કરાયું હતું.આ સેમિનાર માં ઉપસ્થિત થરાદ ખોરડા,રાધનપુર કોલેજના વિધાર્થીઓ તેમજ બનાસકાંઠાના વન કર્મચારીઓને અધ્યક્ષ મહોદય નાયબ વન સંરક્ષક પી.જી.ચૌધરી તેમજ મદદનીશ વન સંરક્ષક કનકબા રાઠોડે માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમનું આયોજન, સંકલન તેમજ આભારવિધિ થરાદ રેંજ ફોરેસ્ટ ઓફિસર ચેતનસિંહ બારડે કરી હતી જ્યારે સંચાલન નિવૃત મદદનીશ વન સંરક્ષક ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.
ગુજરાત પ્રવાસન વિભાગના એમ.ડી. દીપકકુમાર, શવીનાબેન તેમજ નડાબેટ ઓપરેશન્સ ટીમનો પણ સંપૂર્ણ સહકાર સાંપડયો હતો.
