
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કહ્યા પ્રમાણે “ઘર એ માત્ર પાકી છત નથી પણ આસ્થાનું એ સ્થળ છે જ્યાં સપનાઓ આકાર લેતા હોય છે” અને આ સપનાને આકાર આપતી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના. આ યોજના અંતર્ગત ૧૨મે એ મોરબી જિલ્લાના કુલ ૨૦ ગામોના લાભાર્થીઓએ કર્યો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગૃહ પ્રવેશ.
પતરાના મકાનમાં ભાડે રહીને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ટંકારા ગામના જાદવ દિનેશભાઇ લાલજીભાઇ પાસે છે હવે રહેવા માટે પાકું ‘ઘરનું ઘર’. આ સહાય પહેલા ભાડાના મકાનમાં વેઠવી પડતી મુશ્કેલીની વાત કરતા તે જણાવે છે કે, “ હું મારા પરિવાર સાથે અગાઉ ભાડે રહેતો હતો ત્યારે ત્રણેય ઋતુનો માર, મારે અને મારા પરિવારને વેઠવો પડતો હતો. પરંતુ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત મને સરકારશ્રી દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યો અને હવે આજ પ્લોટ પર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સહાય મેળવીને મારે ‘ઘરનું પાકું મકાન’ થયું છે. જેથી મારે મારા પરિવાર સાથે ભાડે રહેવું પડતું નથી અને ઋતુઓનો માર પણ સહન કરવો પડતો નથી.
