
રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે રથનું આગમન થયું હતું. જ્યાં ગામમાં ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લખધીરગઢના ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.
આ પ્રસંગે પોષણ યોજના, પીએમ કિશાન સ્વનિધી, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા. આંગણવાડીના ભૂલકાઓ દ્વારા વિશેષ નાટક રજૂ કરવામાં આવ્યું હતું
કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નિલેશ રાણીપા, ગામના સરપંચશ્રી ધર્મિષ્ઠાબેન, અગ્રણી સર્વશ્રી કિરીટભાઈ અંદરપા, દિનેશભાઈ વાધળીયા, સંજયભાઈ ભાગ્યા, રૂપસિંહ ઝાલા, હસમુખભાઈ દુબરિયા, જયશ્રીબેન સીણોચિયા, પંકજભાઈ સખાપરા, પ્રતિનિધિઓ, આગેવાનો, સરકારી વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


